શહેરના જૂના પાદરા રોડ પર બ્રિજ નીચે આવેલી ભાથુજી મહારાજ, હનુમાનજી અને બળિયાદેવની દેરીઓને અડધી રાતે દૂર કરતા સમગ્ર શહેરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. જોકે બુધવારે મોડીરાતે વારસિયામાં સિંધી સમાજના ગુરુની પ્રતિમા હટાવતા વિવાદ વકર્યો હતો.વારસિયાના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 6ની નવી કચેરી શરૂ કરાઇ છે.
જ્યાં કાચના કેબિનમાં મુકેલી સિંધી સમાજના ગુરુ સ્વામી ધરમદાસ મહારાજની પ્રતિમા ગુરુવારે સવારે ગાયબ હોવાથી હોબાળો મચ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ વિસ્તારના કાઉન્સિલર હેમિષા ઠક્કર અને પૂર્વ કાઉન્સિલર પુરુષોત્તમ હેમનાની જાણ કરતા દોડી આવ્યા હતા.
તેઓએ ગાયબ પ્રતિમાને શોધતા વોર્ડ ઓફિસની પાછળના રૂમમાં પ્રતિમા મળી આવી હતી. સ્વામી ધરમદાસ મહારાજની પ્રતિમા મળી આવતા તેની પૂજા વિધિ સાથે કાચના કેબિનમાં બપોેરે પુનઃ સ્થાપના કરાઇ હતી. કાઉન્સિલર હેમિષા ઠક્કરે જણાવ્યું હતું કે આ પ્રતિમા વર્ષ 2000માં મુકાઇ હતી. કોમ્યુનિટી હોલનું રિનોવેશન કરવાના સમયે પ્રતિમાને હટાવાઈ હતી. જોકે હાલમાં આ પ્રતિમાને કોણે હટાવી છે તેની તપાસ કરાઇ રહી છે. આવી ઘટનાનું પુરાવર્તન ન થાય તેની કાળજી રાખવા વોર્ડ ઓફિસરને જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.