દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા 3 જૂન શુક્રવારે શહેરમાં ઉપસ્થિત રહેનાર છે. શહેરમાં શિક્ષણ મોડલ વિશે શિક્ષણવિદોનો સાથે સંવાદ કાર્યક્રમ ભાગ લેનાર છે. ત્યારે કાર્યક્રમમાં કોણ કોણ ભાગ લે છે તે અંગે ભાજપ ચાંપતી નજર રાખી રહ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રોડ શો સહિત સંવાદ કાર્યક્રમો થકી દિલ્હી મોડલ રજૂ કરવામાં આવી રહ્યું છે. ભાજપ પણ આપના વધતા જતા વ્યાપના પગલે એલર્ટ થઇ ગયું છે અને દરેક કાર્યક્રમ પર નજર રાખી રહ્યું છે. 3 જૂન શુક્રવારના દિવસે સમા-સાવલી રોડ પર શહેરના બુધ્ધીજીવી વર્ગ શિક્ષકો, ધારાશાસ્ત્રી, ખાનગી કોચીંગ કલાસીસના સંચાલકો, વાલી મંડળો સાથે શિક્ષણ મોડલ પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આપના શહેર પ્રમુખ પિન્ટલ રામીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં શિક્ષણવિદો સહિત ધારાશાસ્ત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. શિક્ષણ મોડલ કેવું હોવું જોઇએ તે વિશે ચર્ચા કરવાની સાથે ગુજરાતના શિક્ષણ મોડલ પર પણ ચર્ચા કરવામાં આવશે, શિક્ષકો તથા વાલીઓ સાથે વાતચીત કરાશે. શહેર ભાજપના પદાધિકારીઓ સહિતના આગેવાનોને કાર્યક્રમમાં કોણ ભાગ લે છે તેના પર ચાંપતી નજર રાખવાની સૂચના અપાઇ છે.
કલાસીસના સંચાલકો વેરા માફીની રીસ ઉતારશે
ખાનગી કોચીંગ કલાસીસના સંચાલકોને કોરોના કાળમાં વેરા માફી આપવામાં આવી નથી જેના કારણે સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ મોડલ વિશેના કાર્યક્રમમાં ખાનગી કોંચીગ કલાસીસના સંચાલકો જોડાય તે માટે તમામને આમંત્રણ અપાયું છે અને ઘણા સંચાલકોએ કાર્યક્રમાં હાજરી આપનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.