વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના 18મા પાટોત્સવ નિમિત્તિ વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આગામી દિવસમાં કરવામાં આવશે. આ વિશાળ વચનામૃતને સૌરાષ્ટ્રમાં આવેલા કુંડળધામ ખાતે મુકવામાં આવશે.
આગામી સપ્તાહમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. જેમાં વિશાળ કદનું વચનામૃત દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. આ અંગે અલૌકિક સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામીનારાયણે આપેલ ઉપદેશના સાગર એવા વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે પૂ. જ્ઞાનજીવનદાસની આજ્ઞાથી તેને વિશાળ કદમાં બનાવવામાં આવ્યું છે. આગામી સપ્તાહમાં તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે.
વિશાળ વચનામૃતની વિશેષતાઓ
-વચનામૃતની સાઇઝ 10 બાય 7
-સ્ટેન્ડ સહિત 1500 કિલો વજન
-854 પાના
-હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા સ્મૃતિ ગ્રંથ તરીકે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે
-લાંબા સમય સુધી ટકી રહે તે માટે ખાસ કાગળ વપરાયો
-આ પુસ્તક સૌરાષ્ટ્રના કુંડળધામમાં ભક્તો માટે દર્શનાર્થે મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે સાંજે 6:00 વાગ્યે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બપોર પછીના બીજા સેશનમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 17- 5 -22 ના રોજ સવારે કારેલીબાગ મંદિરસ્થ ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક તથા ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે સંતો, મહંતોના દર્શન આશીર્વચનનો લાભ મળશે. 20 મેના રોજ સાંજે 5 વાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે . વડાપ્રધાન મોદી 19 મેના રોજ સવારે 10 વાગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ આપશે.
આ ઉપરાંત તારીખ 19 મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. આ જ્ઞાનયજ્ઞમાં બાળકો, યુવકો, વડીલો, ભાઈઓ, બહેનો સૌ કોઈને આધ્યાત્મિક-પારિવારિક પોષણ મળી રહે એ માટે સતત સાત દિવસ વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો ભક્તો દ્વારા કથા,વાર્તા, જ્ઞાનગોષ્ઠિ,પ્રેઝન્ટેશન સહિત અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.