રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને ઊર્જાવાન બનાવવા માટે વર્ષ- 2022માં ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નવા ઉદ્યોગો માટે જમીન, સબસિડી તેમજ મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગોને રાહત આપતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ યોજનાની જ એક મહત્વપૂર્ણ કડી છે MSME એટલે કે મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે વ્યાજ સહાયની યોજના. આ યોજનાના પરિણામે આજે રાજ્યમાં MSME એકમો અને સાથે જ રોજગારીની તકોમાં ખૂબ જ વધારો થયો છે.
રાજ્ય સરકારે 94.05 લાખની સહાય ચૂકવી
MSME એકમોને વ્યાજ સહાયની યોજનાથી પ્રેરાઈને ગુજરાતના વડોદરા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માટે મળેલી અરજીઓમાંથી કુલ 123 અરજીઓ મંજૂર કરી હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી 31-12-2022 સુધીમાં 55 એકમને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 94.05 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
સહાયની મહત્તમ મર્યાદા રૂ.50 લાખ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી ઉદ્યોગ નીતિ -2022 અંતર્ગત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો એટલે કે MSMEને પ્રોત્સાહન આપવા માટે ધિરાણના 25 ટકા સુધીની કૅપિટલ સબસિડી મળવાપાત્ર છે, જેની મહત્તમ મર્યાદા રૂ. 35 લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્નોલૉજી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નીતિમાં હેતુ માટે થયેલા કુલ ખર્ચના 65 ટકા સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેની મહત્તમ મર્યાદા રૂ.50 લાખ નક્કી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.