વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી જ્વેલર્સ શોપના વેપારીએ ધંધાકીય લેવડદેવડ બાબતે નાણાની જરૂરિયાત ઉદ્ભવતા 10 ટકા વ્યાજે 44 લાખની રકમ સામે 52.60 લાખનું વ્યાજ ચૂકવવા છતાં 78.56 લાખનો હિસાબ બાકી કાઢી ગુંડાઓ મારફતે દબાણ કરી મિલકત વેચી 1 કરોડની રકમ ચૂકવવાની પ્રોમિસરી નોટ લખાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
10 ટકાના વ્યાજે નાણાં લીધા
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ધનંજય હરીશભાઈ ચોકસી અલકાપુરી વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે. તેમણે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2020 દરમિયાન ધંધાકીય લેવડ દેવડ અર્થે 38 લાખની જરૂરિયાત ઉદભવી હતી. જેથી મિત્ર મારફતે રાજકુમાર શિવમ જ્ઞાનમ પિલ્લાઈ ( ઇન્ડિયાબુલ્સ મેગા મોલ, જેતલપુર) પાસેથી 10 ટકા વ્યાજે 38 લાખ લીધા હતા.
ચેક અને પ્રોમીસરી નોટ લખાવી
જેની સામે ત્રણ મહિનામાં 11.40 લાખ વ્યાજ ચૂકવ્યું હતું. કોવિડના કારણે વેપાર અસરગ્રસ્ત બનતા નાણા આવે ત્યારે બાકી વ્યાજ અને મુદ્દલ ચૂકવવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ રાજુ પિલ્લઈએ વ્યાજ અને મુદ્દલ મળી રૂપિયા 78,56,450નો હિસાબ બાકી કાઢી પૈસાની સગવડ ના થાય તો તારી નવરંગ સોસાયટીમાં આવેલ મિલકત વેચી મને 1 કરોડ આપવા પડશે તેવું જણાવી મારી ઉપર દબાણ કરી રાજકુમાર પિલ્લાઇ, શ્રીકાંત પિલ્લાઇ, હેમંત પવાર અને જયગણેશ પિલ્લાઇના નામે રૂપિયા 25 લાખના બેંકના ચેક તથા પ્રોમીસરી નોટ લખાણ કરાવી લીધું હતું.
ધરપકડની કાર્યવાહી
આમ જ્વેલર્સ શો રૂમના માલિક ધનંજય સોનીએ વ્યાજખોર રાજકુમાર પિલ્લાઇને રૂપિયા 44 લાખની રકમ સામે રૂપિયા 52.60 લાખ વ્યાજ ચુકવ્યું છે. તેમ છતાં ગુંડાઓ મોકલી વધુ રકમ માટે માંગણી કરી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા તેઓએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપી રાજકુમાર પિલ્લાઇની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.