વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા સિદ્ધનાથ તળાવમાં પાલિકાએ 6 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં તળાવની દુર્દશા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તળાવમાં ગંદકી વચ્ચે હવે દુર્ગંધ મારતા પાણીનો ઉમેરો થતાં સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે.
કરોડો રૂપિયાનો વેડફાટ થયો
વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટા ઉપાડે સ્માર્ટ સિટી અંતર્ગત બ્યુટીફિકેશન નામે તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જે પૈકી મોટાભાગના તળાવ ની હાલત દયનીય બની ગઇ છે. વડોદરાના છાણી, લક્ષ્મીપુરા, સિદ્ધનાથ સહિતના તળાવમાં પાણી સુકાઇ જવાની સાથે ગંદકીનું સામ્રાજ્ય છેલ્લા દોઢ વર્ષથી છવાયું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યાં બાદ કેટલાક તળાવ ગંદકી અને દુર્ગંધથી ખદબદી રહ્યા છે તો કેટલાક સૂકાભઠ્ઠ થઈ ગયા છે અને ફરી એકવાર તંત્રના પોકળ આયોજનના પગલે કરોડો રૂપિયાના ખર્ચનો વેડફાટ થયો છે.
મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ જ આવેલું ઐતિહાસિક વારસો ધરાવતું સિદ્ધનાથ તળાવ બ્યુટીફીકેશન બાદ મૃતપ્રાયઃ હાલતમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તળાવમાં ગંદકી યથાવત જોવા મળી રહી છે. તેવામાં હવે વરસાદી ગટર લાઈન મારફતે ડ્રેનેજના દૂષિત પાણી તળાવમાં છોડાતા તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય વિસ્તારમાં ફેલાયેલું છે. તળાવ રહેણાંક વિસ્તારમાં હોય મોટી સંખ્યામાં નાગરિકો તળાવ ફરતે વસવાટ કરે છે. તળાવમાં ગંદકી અને દુર્ગંધના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે દુર્ગંધનું સામ્રાજ્ય પ્રસરતા નાગરીકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.