વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતી પત્ની પર શિક્ષક પતિએ જ્વલનશીલ પ્રવાહી નાંખી સળગાવી દઈ હત્યા કરી,પોતે પણ આત્મહત્યા કરી લેવાની ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. બંનેએ પ્રેમલગ્ન કર્યા હોય, સુખી દાંપત્યજીવનમાં ભંગાણ પડવા પાછળનું કારણ આડા સબંધનો વહેમની ચર્ચા છે. સતત લડાઈ ઝઘડા અને ખટરાગને ટાળવા ગામ રાહે 4 વખત સમાધાન પણ કરવામાં આવ્યું હતું. છતાં સમાધાન થઈ શક્યું ન હતું. અંતે બને પતિ પત્ની છેલ્લા એકાદ માસથી અલગ રહેતા હતા અને મંગળવારે કરુણ અંજામ આવ્યો હતો.
વાલોડ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે કામ કરતા મયુરિકા પટેલ સાથે ચેમ્બરમાં અન્ય એક પુરુષ અને મહિલા અધિકારી કામ કરતા હતા. મંગળવારે પુરુષ અધિકારી ઓફિસના કામ માટે વ્યારા ગયા હતા, જ્યારે મહિલા અધિકારી ઓફિસમાં તાલુકા વિકાસ અધિકારી પાસે કાગળો પર સહી કરવા ગયા હતા. આ સમયે ચેમ્બરમાં મયુરિકાબેન પટેલ એકલા હતા.
આ બન્ને કર્મચારીઓની ગેરહાજરી હોય, શિક્ષક પતિએ પ્રથમ રેકી કરી ત્યારબાદ નીચે જઈ જ્વલનશીલ પદાર્થ લઈ ઉપર આવી ઘટનાને અંજામ આપ્યો હતો. અમિત પટેલ અગાઉ પણ કેટલીક વખત આવતો હતો. ત્યારે આ બન્ને કર્મચારીઓને જોઈ કેમ્પસની બહાર નીકળી જતો હતો. મયુરિકાબેન સાથે અગાવ ઓફિસમાં આવી ઝઘડો કરતા આ બંને કર્મીઓના કારણે આગળ વધી શક્યો ન હતો, પરંતુ મંગળવારે બન્નેની ગેરહાજરીમાં જીવતી સળગાવી હત્યાને અંજામ આપ્યો છે.
બુધવારે પોલીસે વાલોડ તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ મૃતક પરિવારના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે જવલનશીલ પ્રવાહીની જાણકારી માટે એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે. પોલીસે હાલ હત્યા પાછળનું કારણ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ ફોડ પાડી શક્યા નથી. જ્યારે તપાસમાં જ્વલનશીલ પ્રવાહી કયું છે, ક્યાંથી લાવ્યા, દાતરડું અને લાઈટર પણ ક્યાંથી લાવ્યા સહિતની તપાસ પણ શરૂ કરી છે.
ચાંપાવાડી ગામમાં રહેતા બંનેએ લવ મેરેજ કર્યા હતા
મયુરિકાબેન પટેલ અને અમિત પટેલ ચાપાવાડીના એક જ ગામના, એક જ ફળિયામાં રહેતા હતા અને બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં આટલા લાંબા લગ્નજીવનનો આટલો ખરાબ કરૂણ અંજામ આવશે તે કોઈએ વિચાર્યું પણ ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.