સોનગઢમાં રવિવારે સવારે એક યુવકે ટ્રેન નીચે પડતું મુક્યા ના ગણતરી ના સમયમાં એજ વિસ્તારમાં રહેતી એક યુવતી પણ ગુમ થઈ ગઈ હતી.ગુમ થયેલી યુવતી ની લાશ બીજે દિવસે સ્ટેશન રોડ પર આવેલી ક્વોરી ની ખીણ ના પાણી માંથી મળી આવી હતી. સોનગઢની અવતાર સોસાયટીમાં નેમિચંદ માલી માતા અને ભાઈ બહેનો સાથે રહે છે.રવિવારે તેમની નાની બહેન મીનાબહેન અચાનક કોઈ ને કશું કહ્યા વિના ગુમ થઈ ગયા હતા.
પરિવાર જનો એ તેમની શોધખોળ શરૂ કરી હતી બપોર બાદ ઘર નજીક સ્ટેશન રોડ પર આવેલી એક બંધ ક્વોરીની પાણી ની ખીણ નજીક થી ગુમ થનાર મીના બહેન ના ચંપલ અને મોપેડ મળી આવ્યા હતા.જેથી સોનગઢ અને વ્યારા ના ફાયર ફાઈટરો એ ખીણ ના પાણીમાં તપાસ શરૂ કરી હતી જો કે રવિવાર રાત્રી સુધી તેનો કોઈ પત્તો મળ્યો ન હતો.સોમવારે સવારે ફરી થી પાણી ની ખીણ માં શોધખોળ શરૂ કરવામાં આવતાં થોડા જ સમયમાં મીના બહેન માલી ની લાશ પાણીમાંથી મળી આવી હતી.
હાજર પોલીસ સ્ટાફે તેને પી એમ કરવા સોનગઢ સરકારી દવાખાને ખસેડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે સંતોષ ભાલેરાવ નામના યુવકે ટ્રેન ની સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો એના થોડા સમય બાદ જ મીનાબહેન પણ ગુમ થઈ ગયા હતા.લોકો માં ચાલતી ચર્ચા પ્રમાણે સંતોષ અને મીના એક બીજા સાથે પરિચિત હતાં અને સંતોષ ની આત્મહત્યા ના પગલે મીના બહેને પણ પાણીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. જે અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.