થાનગઢ નગરપાલિકા દ્વારા 5 દિવસે એક વખત પાણી વિતરણ કરાતા લોકો પરેશાન થઇ રહ્યા છે. જેના કારણે જરૂરિયાત સમયે લોકોને એક કિમી દૂર સુધી નર્મદાના વાલ્વમાંથી પાણી ભરી લાવવા મજબૂર થઇ રહ્યા છે. આ અંગે રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતા રોષ ફેલાયો છે. થાનગઢમાં ભરઉનાળે પાણીના પોકારો ઉઠ્યા છે. જેમાં પાલિકા દ્વારા 5 દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવતા લોકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના માટે દૂર દૂર સુધી પાણી માટે લોકોને વલખા મારવા મજબૂર બન્યા છે.
આ અંગે થાન કોંગ્રેસ શહેર પ્રમુખ મંગળુભાઇ ભગત, પાલિકાના વિરોધપક્ષના નેતા બાપાલાલ ઝાલાએ જણાવ્યું કે થાન પાલિકા દ્વારા લોકોને ઘેરઘેર નળથી પાણી આપવાની વાતો વચ્ચે હાલ 5 દિવસે એક વાર પાણી વિતરણ કરાતા પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. જેના કારણે શહેરીજનોને પાણીની મુશ્કેલીઓ દૂર કરવા માટે શહેરના આજુબાજુ વિસ્તારમાં ભરઉનાળે તડકામાં એકથી દોઢ કિમી દૂરથી નર્મદાના વાલ્વમાંથી જતું પાણી ભરી વાપરવા મજબૂર થવું પડે છે.
આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં થાન શહેરમાં સમસ્યા જેમની તેમ છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયા જણાવ્યું કે અમુક જગ્યાએ પાણીનો લાઈનમાં નુકસાન હોવાથી રિપેરિંગ કામ ચાલુ હતું. જ્યારે પીજીવીસીએલ પોતાની લાઈટના થાંભલા લાઈવ રિપેરિંગનું કામ ચાલુ હોવાથી અમારા થોડી મુશ્કેલી પડે છે. છતા ઝડપી કામ કરાવી લોકોની સમસ્યા દૂર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.