સાયલાના ડોળીયા ગામે 3 લાખના ખર્ચે કોઝવેઅને 4 લાખના સી.સી.રસ્તાનું કામ એસ્ટીમેન્ટ મુજબનું થયા ન હોવાના આક્ષેપ સાથે ઉપ સરપંચે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. તેમજ ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મટીરીયલ સહિતની ખરીદીમાં GST બીલો ન હોવાથી તપાસ કરવાની પણ લેખીત રજૂઆત થવા પામી છે. સાયલા તાલુકાના સૌથી વિકસીત અને મોટી વસ્તી ધરાવતા ડોળીયા ગામે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતે શરૂ કરેલા કામોમાં ગેરરીતીની રજૂઆત થઇ છે. પરંતુ રાજકીય પીઠબળ અને અધિકારીની રહેમરાહે કોઇ તપાસ ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
વધુમાં ઉપસરપંચ અનિરુધ્ધભાઇ ખાચરે નવા ગામતળમાં નારૃભાઇ ચતુરભાઇ અદોદરીયાના મકાન પાસે કોઇ જાહેર રસ્તો કે વોકળુ નથી છતાં રૂ.3 લાખના ખર્ચે કોઝવે બનાવેલ જે કામમાં પી.સી.સી તેમજ મેટલનો ઉપયોગ ન કરાયો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ લેખીત રજૂઆત કરી છે.વધુમાં નાણાંપંચ યોજના હેઠળ જીવણભાઇ ભીમા ભાઇના ઘર પાસે રૂ.4 લાખના ખર્ચે સી.સી.રસ્તાનું કામ કરવામાં આવ્યું જે કામની મટીરીયલ ગુણવત્તા અને રસ્તા ઉપર મેટલ પાથરીને કામ પૂર્ણ કર્યાની પણ રજૂઆત કરાઇ છે.
આ બાબતે ઉપસરપંચ અનિરુધ્ધભાઇએ સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરી ખોટા બિલ રજુ કરવામાં આવતા ઝડપભેર તપાસ કરવાની જરૂરીયાત બતાવી છે. સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ કામના બીલમાં GST ન હોવાનું ધ્યાને આવેલ છે જેથી તમામ કામોના બીલની તપાસ કરવા અને તેની સામે ઝડપભેર કાર્યવાહી કરવાની પણ લેખીત રજૂઆતમાં માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.