કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાની દીકરીને ડાબા પગમાં લાખોએ એક વ્યક્તિને જોવા મળતી ગંભીર બીમારી હતી. 11 વર્ષની આ દીકરી અસહ્ય પીડા થતાં પિતાને કહેતી કે મારો પગ કપાવી નાખો, ત્યારે અમદાવાદના મિત્રોએ ભેગા મળી પોણા ત્રણ લાખના ખર્ચે 3 ઓપરેશન કરાવ્યાને હવે આ દીકરી 6 મહિનામાં ચાલતી અને શાળાએ જતી થઇ જશે. હજી આ અગરિયા દીકરી હોસ્પિટલમાં છે અને એના પગનું ચોથું અને છેલ્લુ ઓપરેશન હજી બાકી છે.
છેલ્લા 3 વર્ષથી ડાબા પગમાં ગાંઠ હતી
કચ્છના નાના રણમાં મીઠું પકવતા પ્રેમજીભાઇ ઉધરેજીયાની 11 વર્ષની ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરી રેખાને છેલ્લા 3 વર્ષથી ડાબા પગમાં ગાંઠ થતાં એને લાખોએ એકને જોવા મળતી ક્લબ ફૂટની બીમારી થઇ હતી. એના લાચાર પિતા એને સારવાર અર્થે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઓપરેશનનો ખર્ચ વધારે હોવાથી પિતા ભાગી પડ્યા ડોક્ટરોએ આ ઓપરેશન ખૂબ જટીલ અને ખૂબ ખર્ચાળ હોવાનું જણાવતા લાચાર પિતા ભાગી પડ્યા હતા. બીજી બાજુ ડાબા પગમાં ગાંઠના લીધે ભાખોડીયા ચાલતી 11 વર્ષની અગરિયા દીકરી રેખાને પગમાં અસહ્ય પીડા થતાં એ પોતાના વ્હાલસોયા પિતાને કહેતી કે, કે મારો પગ કપાવી નાખો, નથી રહેવાતું. આ સાંભળીને લાચાર પિતા ધ્રુસકેને ધ્રુસકે રળી પડ્યાં હતા.
ડોક્ટરોએ કહ્યું ઢીંચણથી નીચેનો પગ કાપવો પડશે!
શરીરમાં ડાબા પગે ત્રણ જગાએ આવી જ તકલીફવાળી રણકાંઠાના એક ગામની અગરિયાની દીકરીને ઊંચકી તેનાં મા-બાપ દવાખાને-દવાખાને ફરે અને ઘર આખું મજૂરી કરેને જે કંઈ કમાય તેનો મોટો હિસ્સો સારવારમાં જાય. છેવટે દીકરીનો ઢીંચણથી નીચેનો પગ કાપવો પડશે તેવું સિવિલથી માંડી તમામ નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું હતું.
અંગેનો દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ છપાયો હતો
એક દિવસ મા-બાપ દીકરીનો પગ કપાવવાનું નક્કી કરી નીકળ્યાં હતા.જે અંગેનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાયો હતો. ત્યારે અમદાવાદ ખાતે રહેતા હરણેશભાઇ પંડ્યાએ એમને અમદાવાદ બોલાવી ડોક્ટરોને બતાવતા અમદાવાદના ડો.ચિંતન પટેલ અને ડો.રોજીલ ગાંધીએ આ જોખમી સર્જરી માટે તૈયારી બતાવી મદદ કરી હતી. તેમના મતે ઓપરેશન થઈ શકે પણ ખૂબ જોખમી હોવાનું કહ્યું હતું.
ત્રીજું સફળ ઓપરેશન આઠ કલાક ચાલ્યું
આથી ડોક્ટરોએ દીકરી અને વાલી સાથે વિગતે વાત કરી જોખમો સમજાવ્યાં હતા. જ્યારે દીકરી અસહ્ય પીડાથી પીડાતી હતી. છેવટે આજે ત્રીજું સફળ ઓપરેશન આઠ કલાક ચાલ્યું હતું. હજી બીજા પગે એક ઓપરેશન કરવું પડશે. પહેલા ઠસડાઈને મહા પરાણે ચાલતી દીકરી 6 માસમાં ઊભી થઈ ચાલતી થશે અને પાછી શાળામાં અભ્યાસ કરતી નજરે પડશે.
લાખમાં એકાદને આવી તકલીફ થાય છે
આ જન્મજાત તકલીફ લાખમાં એકાદ વ્યક્તિને થતી હોય છે. આ બીમારીમાં હ્રદયમાંથી લોહી લઈ જતી, લાવતી શીરા અને ધમનીના અરસપરસ જોડાણમાં ખામી સર્જાતાં, શરીરના જે હિસ્સામાં આ તકલીફ થાય ત્યાં નસોનું જાળું સર્જાય છે. દર્દીના હ્રદય પર વધુ જોર પડે અને જ્યાં આ જાળું રચાયું હોય તે હિસ્સામાં અસહ્ય પીડા થાય છે. - ડૉ. ચિંતન પટેલ, ડૉ. રોજીલ ગાંધી, અમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.