વઢવાણનું ધર્મતળાવ હાલ કમળના પાનો અને ગંદકીમાં ફેરવાતા દિવસે દિવસે બિનઉપયોગી બની રહ્યું છે. સફાઇના અભાવે અને તળાવમાં પાણી ઘટતા હાલ લોકો પણ ન દેખાતા સ્નાના તેમજ કપડા ધોવાના ઘાટ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે લોકઉપયોગી તળાવ બને તેવી તંત્ર દ્વારા કાર્યવાહીની લોકમાંગ ઉઠી હતી.
ઉનાળાના સમયમાં જ હાલ નાના મોટા જળાશયોના પાણી સૂકાતા જાય છે. ત્યારે એક સમયે લોકઉપયોગી ધર્મતળાવમાં સવાર પડતાની સાથે જ બાળકોથી લઇને મોટેરાઓ સુધીના લોકોની સ્નાન માટે ભીડ જોવા મળતી હતી. તો બીજી તરફ મોટી સંખ્યામાં આ તળાવ પર મહિલાઓ પર કપડાઓ ધોવા માટે આવતી હતી.
પરંતુ ઉનાળાની ખરી સિઝનમાં જ આ તળાવની અવદશા સર્જાઇ છે. તળાવની ફરતે બાવળોના ઝૂંડ ઉગી નીકળ્યા છે. અને તળાવમાં પાણી પણ દિવસે દિવસે ઓછુ થઇ રહ્યુ છે. તળાવમાં પાણીના બદલે કમળના ફૂલોની સંખ્યા વધતા સમગ્ર તળાવ કમળમાં ઘેરાઇ ગયુ છે. સફાઇના અભાવે તળાવમાં ગંદકી પણ અતિશિય ફેલાયેલી હોવાથી હાલ આ તળાવ લોકો માટે બિનઉપયોગી બની રહ્યુ છે.
ધર્મતળાવના સ્નાના તેમજ કપડા ધોવાના ઘાટો પણ સૂમસામ ભાસી રહ્યા છે. તળાવમાં પાણીના જથ્થા કરતા કમળના ફુલો સાથે બાવળોના ઝૂંડોનું પ્રમાણ વધતા અહીં પગ મૂકતા પણ લોકો વિચારતા થઇ ગયા છે. આ અંગે લીલાબેન, લક્ષ્મીબેન, મહેશભાઈ, ગુણવંતભાઈ વગેરે જણાવ્યું કે, હાલ ઉનાળાની સિઝનમાં તળાવમાં પાણીનો જથ્થો નથી, પરંતુ તેની જગ્યાએ કમળ અને બાવળોનું પ્રમાણ વધતુ જાય છે. આથી જવાબદાર તંત્ર દ્વારા તળાવની સાફસફાઇ કરાવીને લોકઉપયોગી બને તેવી કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.