રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસિક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. ત્યારે પૂરાતત્વ વિભાગ દ્વારા ભવ્ય ભૂતકાળને વાગોળતા આ ઐતિહાસિક દરવાજાઓ ફરી જીવંત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઝીંઝુવાડા એ ગુજરાતનું ઐતિહાસિક વારસો ધરાવતુ આદર્શ ગામ બની શકે. વધુમાં ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ ચોરસ આકારમાં ફેલાયેલું ગુજરાતનું એકમાત્ર ગામ છે. અને તાજેતરમાં પ્રધાનમંત્રીએ "મન કી બાત"માં પણ ઝીંઝુવાડા ગામનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
પાટડીથી માત્ર 30 કિ.મી.દૂર આવેલા ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો તમને ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે. આ વાવ નીચેથી આજે પણ સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચિન નમુનારૂપ છે. આ કિલ્લા પર એક આખો ટ્રક એક છેડેથી બીજા છેડે જઇને પાછો આવી શકે એટલી પહોળાઇવાળો આ કિલ્લો છે. આ ઐતિહાસિક કિલ્લાને ફરતા આવેલા હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં ભવ્ય ભૂતકાળને વાગોળતા અત્યંત જર્જરિત હાલતમાં ઊભા છે. આથી પૂરાતત્વ વિભાગ દ્બારા આ જર્જરિત બનેલા ઝીંઝુવાડાના ચારેય દરવાજાઓને રીપેરીંગ કરી ભવ્ય ભૂતકાળને ફરી જીવંત કરવામાં આવે એવી વ્યાપક માંગ ઝીંઝુવાડાના ગ્રામજનોએ ઉઠાવી છે. આ અંગે ઝીંઝુવાડાના ગામ આગેવાન સુરૂભા ઝાલાએ જણાવ્યું કે, ઝીંઝુવાડાના ઐતિહાસિક વારસાને ફરી જીવંત કરી લોક સમક્ષ મુકવામાં આવે એવી માંગ સાથે છેક ગાંધીનગર પણ રજૂઆત કરવાના છીએ. વધુમાં ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ ચોરસ આકારમાં ફેલાયેલું ગુજરાતનું એકમાત્ર ગામ છે. અને તાજેતરમાં પ્રધાનમંત્રીએ "મન કી બાત"માં પણ ઝીંઝુવાડા ગામનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ "મન કી બાત"માં ઝીંઝુવાડા બંદરનો ઉલ્લેખ કર્યો હતો
દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં "મન કી બાત" કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસીક ઝીંઝુવાડા ગામના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી છે. ઘણા વર્ષો પહેલા ઝીંઝુવાડા એક બંદર હતુ. કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. ઝીંઝુવાડા બંદરે વહાણ આવતા અને નાંગરતા હતા. આજે આ ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતી હવા સાથે વાતો કરતી ઐતિહાસીક દિવા દાંડી નજરે પડે છે.
ઝીંઝુવાડા રણમાં ગાંધી-ઇરવીન કરારથી 25 અગરિયાઓને જ મીઠું પકવવાની મંજૂરી મળી હતી. સને 1947માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી ત્યારે નમક સત્યાગ્રહની ફલશ્રુતિ રૂપે ગાંધી-ઇરવીન કરાર થયો હતો. જેમાં નક્કી થયુ હતુ કે, દસ એકર સુધીની જમીન પર વગર લાઇસન્સે સરકારની પરવાનગી વિના મીઠું ઉત્પન્ન કરવાનો અને વેચવાનો દરેકનો અધિકાર છે. ત્યાર બાદ ઝીંઝુવાડા રણમાં 25 અગરિયાઓને જ મીઠું પકવવાની મંજૂરી મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.