રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં લમ્પી સ્કીન રોગના કેસો સામે આવી રહ્યા છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા લમ્પીથી અસરગ્રસ્ત 17 જિલ્લાઓમાં આ રોગ સામે પશુઓને રક્ષણ મળે તે માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી દ્વારા પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
સુરસાગર ડેરી પાસે 50,000 રસીના ડોઝ ઉપલબ્ધ
આ અંગે વાત કરતા સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડે જણાવ્યું હતું કે, જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા લમ્પી રોગ સંદર્ભે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરસાગર ડેરી દ્વારા 72 લોકોની ટીમ બનાવીને જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સુરસાગર ડેરી પાસે 50,000 રસીના ડોઝ ઉપલબ્ધ છે. તેમજ આગામી સમયમાં બે લાખ જેટલા રસીના ડોઝ ડેરી દ્વારા ખરીદવામાં આવશે અને જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓનું વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
જિલ્લાનાં વિવિધ ગામોના પશુધનમાં લમ્પી વાઇરસે દેખા દેતા તંત્ર દ્વારા રસીકરણ, સર્વે અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લખતર તાલુકાના વણા ગામે લમ્પી વાઇરસ દેખાયા બાદ તંત્રએ રસીકરણ કામગીરી હાથ ધરી 500 પશુને રસી આપી હતી.
તબેલામાં સ્વચ્છતા જાળવવા પશુપાલકોને અપીલ
લખતર તાલુકાનાં વણા ગામે પશુઓમાં લમ્પી વાઇરસનાં લક્ષણ જોવા મળ્યા બાદ પશુપાલન વિભાગ દ્વારા સર્વે અને રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. વણાના પશુધન નિરીક્ષક ટી.યુ.મલેક, ડેરવાળા ગામના પશુધન નિરીક્ષક જે.વી. પરમાર, તલસાણાના પશુધન નિરીક્ષક એ.જી.સતાપરા, સુરસારગર ડેરીના કર્મચારીઓ વિગેરેની ટીમોએ ઘેર-ઘેર જઈ સર્વે કરી રસીકરણ કર્યુ હતું. આશરે 500 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું. સાથે તબેલામાં સ્વચ્છતા જાળવવા પશુપાલકોને અપીલ કરવામાં આવી હતી. તેમજ લમ્પી વાઇરસના લક્ષણોથી માહીતગાર કરવામાં આવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.