સુરેન્દ્રનગરના પાણસીણા પોલીસ મથકમાં એક મહિલા વિરૂદ્ધ ગાંજાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બે વર્ષથી નાસતી ફરતી મહિલાને રાજકોટ એસઓજીની ટીમે ઝડપી લીધી હતી. જે બાદ પાણસીણા પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. 21 કિલો 900 ગ્રામ ગાંજા પ્રકરણમાં મહિલાનું નામ ખુલ્યું હતું.
રાજકોટ શહેરમાં માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સુચનાના પગલે એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.બી.ખેર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એ.એસ.આઇ. રવી વાંક તેમજ પો.હેડ કોન્સ. મોહીતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા કોન્સ્ટેબલ રણછોડ આલને બાતમી મળી હતી. જેના આધારે હીરી ઉર્ફે બીના તૌફીકભાઇ સમા (રહે.રાણીટાવરની પાસે વૃંદાવન સોસાયટી આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. 1964 કાલાવડ રોડ) કે જેની સામે સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા પોલીસ મથકમાં 2020 એનડીપીએસનો ગુનો દાખલ થયા બાદ તે નાસતી ફરતી હતી, તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, હીરીબેન ઉર્ફે હીરકીનું 1,31,400ની કિંમતના 21. 900 ગ્રામ ગાંજામા નામ ખુલ્યું હતું. જે અંગે પાણસીણા પોલીસ મથકમાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે બે વર્ષથી નાસતી ફરતી હતી. જેને એસઓજીની ટીમે ઝડપી લઇ પાણસીણા પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.