સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની લાગણી વ્યક્ત કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આડકતરી રીતે રાજકીય ઇચ્છાશક્તિ વ્યક્ત કરી છે ત્યારે સુવિધાની સાથેસાથે વેરાના દરમાં પણ તોતિંગ વધારો ઝીંકાવાની શહેરીજનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે પાલિકાએ 12 વર્ષમાં હાઉસ ટેક્સમાં બમણો વધારો કર્યો છે.
વર્ષ 2008-09માં કાર્પેટ એરિયા પ્રમાણે 1 ચોરસ મીટર દીઢ રહેણાક મકાનના રૂ. 5 જ્યારે બિન રહેણાક એટલે કે વાણિજ્યિક મકાનના રૂ. 11 વેરાપેટે વસૂલાતા હતા. પાલિકા દર 3 વર્ષે સરેરાશ 10 જેટલો વધારો કરતી હોવાથી હાલમાં વર્ષ 2020-21માં રહેણાકમાં રૂ. 8.87 અને બિન રહેણાકમાં રૂ. 19.48નો વેરો વસૂલાય છે.
સંયુક્ત પાલિકાના હાઉસિંગ ટેક્સ વિભાગના ચોપડે 24,270 કોમર્શિયલ અને 52,260 રહેણાક મકાનો નોંધાયેલાં છે. આમ, કુલ 76,530 લોકોને ટેક્સ ભરવાનો થાય છે. પાલિકા દર વર્ષે અંદાજે મોટી રકમના 40 હજાર જેટલા બાકીદારોને ટેક્સ વસૂલવા માટે બિલ ફટકારે છે જેમાં વર્ષે અંદાજે 5 કરોડ રૂપિયાની આવક થાય છે પરંતુ શહેરના મોટા ભાગના લોકો એ જાણતા નથી કે તેમની મિલકતના ટેક્સમાં દર ત્રીજા વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે.
ટેક્સ લાગુ થયો ત્યારથી અત્યાર સુધી થયેલો વધારો | ||
વર્ષ | રહેણાક | કોમર્શિયલ |
2008-09 | રૂ. 5 | રૂ. 11 |
2010-11 | રૂ. 5.50 | રૂ. 12.10 |
2012-13 | રૂ. 6.5 | રૂ. 13.31 |
2014-15 | રૂ. 6.66 | રૂ. 14.64 |
2016-17 | રૂ. 7.33 | રૂ. 16.10 |
2018-19 | રૂ. 8.6 | રૂ. 17.71 |
2020-21 | રૂ. 8.87 | રૂ. 19.48 |
બિન રહેણાકના રૂ. 11થી 19.48, રહેણાકના રૂ. 5થી 8.87 ટેક્સ થયો
પાલિકાએ ટેક્સ લેવાની શરૂઆત કરી ત્યારે બિન રહેણાકના 1 ચોરસ મીટરના રૂ. 11 અને રહેણાક મકાનના રૂ. 5નો જ ભાવ હતો. વર્તમાન સમયે બિન રહેણાક મકાનના રૂ. 19.48 અને રહેણાક મકાનના રૂ. 8.87નો દર થઈ ગયો છે. 2022-23ના વર્ષમાં આ ટેક્સ વધીને બિન રહેણાકનો રૂ.21.43 અને રહેણાકનો રૂ.9.76 થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.