વઢવાણ મૂળચંદ રોડ પર પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે. ત્યારે આ પ્લાન્ટમાંથી છોડાતા ગંદા અને દૂષિત પાણી અંદાજે 6 થી વધુ શૈક્ષણિક છાત્રાલય આજુબાજુ ફેલાતા વિદ્યાર્થીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે. આ ગંદા પાણીથી કારખાનાના મજુરો તેમજ વિસ્તારના રહિશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી છે.
વઢવાણ શહેરના મૂળચંદ રોજ પર રેસીડન્ટ કોલેજ, પોલીટેકનીકલ, સરસ્વતી વિદ્યાલય સંકુલ, લેઆઉ પટેલ શિક્ષણ સંકુલ, સરિત પ્રાથમિક શાળા, સિધ્ધાર્થ કેળવણી શાળા, મોંઘીબેન કન્યાછાત્રાલય સહિત 6થી વધુ શૈક્ષણિક છાત્રાલયો આવેલી છે. પરંતુ ગંદા તેમજ નદીના ગંદા પાણીને વઢવાણ મૂળચંદ રોડ પર આવેલા એસટીપી પ્લાન્ટમાં ભૂર્ગભ ગટર દ્વારા લાવવામાં આવે છે. ત્યારબાદ તેના ડ્હોળા અને ગંદા પાણીનો નિકાલ ખૂલ્લી જગ્યાઓમાં કરવામાં આવી રહ્યા છે.
અને આ પાણી શૈક્ષણિક છાત્રાલયો, સંકુલોની આજુબાજુ ફરી વાળતા મચ્છરો, જીવજંતુઓ દિવસે દિવસે વધી રહ્યા છે. આ ઉપરાંત ગંદકી અને તીવ્ર દૂર્ગંધથી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને રોગચાળાનો ભય ફેલાયો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રહેણાંક મકાનો અને કારખાનાઓ પણ આવેલા હોવાથી આવા પાણીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરતા હોવાની રાવ ઉઠી હતી.
આ અંગે વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ અને રહિશોએ જણાવ્યું કે, આવા પાણી છેલ્લા 2 વર્ષથી છોડવામાં આવે છે. પરંતુ ભૂંગળા નાંખીને જો આવા પાણીનો નિકાલ થાય તો લોકોના આરોગ્યનું જોખમ અટકે. પ્લાન્ટથી અંદાજે 2 કિમી સુધી ખૂલ્લી જગ્યામાં કરવામાં આવતા આવા દૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં માગ ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.