સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પ્રૌઢે ચોટીલાના નાની મોલડી સીમમાં ગળેફાંસો ખાઇ મોતને ભેટતાં થાનગઢના એક ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. થાનગઢના મફતિયાપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા રમેશભાઇ કરશનભાઇ વાઘેલા (ઉ.વ. આશરે 50) બે દિવસ પહેલા મોરબી તરફ કામની શોધમાં જવાનું જણાવી ઘરેથી નીકળ્યા હતા. જેમનો ગઈકાલે મંગળવારના રોજ ચોટીલા પોલીસને નાની મોલડી નજીક આવેલી સમરાવેલ રીઝર્વ ફોરેસ્ટ વીડમાં લીમડાના ઝાડની ડાળી સાથે રૂમાલનો ફાંસો બનાવી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.
જેમાં ઝાડ પર માણસ લટકતો હોવાની વન વિભાગના ચોકીદારે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશ ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃતકના આધાર કાર્ડ ઉપરથી ઓળખ મેળવી પરિવારને જાણ કરાતાં એમનો પરિવાર તાકીદે ચોટીલા દોડી આવ્યો હતો. તેમજ પ્રાથમિક તપાસમાં ઘણા દિવસોથી કામ ધંધો હતો નહી એટલે બે દિવસ પહેલા મોરબી કારખાનામાં કામ શોધવા જવાનું કહી નિકળ્યા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત બેરોજગારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ચોટીલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.