ગુજરાતની નર્મદાની કેનાલમાંથી બેફામ રીતે પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે. હળવદ તાલુકાના કીડી ગામની બાજુમાં આવેલા મીઠાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી ભરાઈ ગયા છે. જેથી કરીને અગરિયાઓને મોટું નુકસાન થયું છે. એક કે બે નહિ પરંતુ અંદાજે 15 કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન જે રીતે પાણી ભરાતું હોય છે. તેવી રીતે પાણી ભરાઈ ગયું છે.
મોરબી જિલ્લામાં નર્મદાની કેનાલો આવે છે. જેમાં હાલમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે, પાણીનો બેફામ બગાડ કરવામાં આવતો હોવાથી હાલમાં કેનાલના પાણી હળવદ તાલુકાના કીડી ગામની બાજુમાં આવેલા મીઠાના અગરોમાં ભરાઈ ગયા છે. જેથી કરીને ચાલુ વર્ષે કીડી પાસેના મીઠાના અગરમાં મીઠાનો પાક લઇ શકાય તેમ નથી.
આ પાણી એક કે બે કિલોમીટર નહિ પરંતુ 15 કિલોમીટર કરતા વધારે જમીનમાં હાલમાં નર્મદાનું મીઠું પાણી ભરાઈ ગયું છે. જેથી કરીને ચોમાસા પછી અગરિયાઓ દ્વારા પાળા બાંધવાની તેમજ જમીન સમથળ કરવા માટેની જે મહેનત કરી હતી અને લાખો રૂપિયાના ખર્ચ કર્યા હતા. તેના ઉપર હાલમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. છેલ્લા 15 દિવસથી અહી પાણી ભરેલું છે અને પાણીની આવક હજુ પણ ચાલુ જ છે.
આ અંગે બાબુ મજેઠીયા અને ઉઘરેજા મેઘરાજ સહિતના અગરીયાઓએ અને કીડીના રાજેશ સંખેસરીયા, શંભુ રમેશભાઇ સહિતના અગરિયાઓએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં રવિ સીઝન માટે નર્મદાની કેનાલમાં ખેડૂતો દ્વારા ખેતરમાં પાકને પાણી આપી દેવામાં આવ્યા બાદ બકનળી મારફતે કેનાલમાંથી કાઢવામાં આવતા પાણીને બંધ કરવામાં આવતા નથી. જેથી કરીને અગરમાં મીઠાની ખેતી કરતાં દરિયા ખેડૂને નુકસાન થાય છે. હાલમાં હળવદ તાલુકાના કીડી ગામ પાસે આવેલા મીઠાના અગરમાં મીઠા પાણી ભરાઈ જવાથી છેલ્લા મહિનાઓથી અગરિયાઓ દ્વારા મીઠાનો પાક લેવા માટે જે મજુરી કરવામાં આવી હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને અગિયારીયાઓ મુશ્કેલી વધી ગઇ છે.
કીડીના રણમાં મીઠું પકવતા અગરિયાઓ એક પાળો બનાવવા માટે મજૂરી, ટ્રેક્ટર, સોલાર સહિતનો એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે મીઠું પકવવાનું કામ શરુ થતું હોય છે. જો કે, હાલમાં કેનાલના પાણી મીઠાના અગરમાં ઘુસી જતા 30થી વધુ મીઠાના પાટા ધોવાઈ જવાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ લાખોની નુકસાની થવાની નોબત આવી છે. હળવદ તાલુકાનાં કીડી ગામ નજીક આવેલા મીઠાના અગરમાં છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી પાણી ભરાઈ ગયા છે. તેની અધિકારીઓને આ વખતે પણ જાણ કરવામાં આવી છે. તો પણ કોઈ અગરિયાઓની દરકાર લેવા માટે આવ્યું નથી.
અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ચાર-પાંચેક વર્ષથી આ રીતે અગરીયાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી આવી જાય છે. જેથી કરીને દર વર્ષે ખેડૂતોને નુકસાન થાય છે. હાલમાં જે પાણી અગરમાં છે, તે કયારે સુકાશે તે કહેવું મુશ્કેલ છે. ત્યારે અગરિયાઓના પાળા બનાવવા સહિતની કામગીરીમાં જે ખર્ચા થયા છે. તેની સામે સરકારી બાબુઓ અને ખેડૂતોની બેદરકારીના લીધે અગરમાં નુકસાન થઈ રહ્યું છે. જેથી કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે અને નર્મદાનાં પાણી અગરમાં આવતા રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી અગરીયાઓની વ્યાપક માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.