સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં તાપમાનમાં 1.6 ડિગ્રી લધુતમમાં અને 4.7 ડિગ્રિ મહતમ તાપમાનમાં વધારો નોંધાવા પામ્યો છે.જેમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું અને હવાનું દબાણ પણ ઓછું હોવાથી બફારાના કારણે ભર ચોમાસે લોકો ઉનાળાની ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.
જિલ્લામાં તાપમાનની વાત કરીએ તો સોથી ઓછામાં ઓછું તાપમાન 1 ઓગસ્ટના રોજ 26.0 ડિગ્રી હતું. જ્યારે વધુમાં વધુ 31.0 ડિગ્રી. જેમાં સતત વધારો થવા સાથે તા.9 ઓગસ્ટ સુધીમાં 26.8 ડિગ્રી ઓછામાં ઓછુ અને વધુમાં વધુ 35.7 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આમ ઓછામાં ઓછા તાપમાનમાં સરેરાશ 1.6 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાનમાં 4.7 ડિગ્રિ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ દિવસભર સૂર્યનારાયણ સાથે સંતાકુકડી રમી વાદળો શહેર પરથી પસાર થઇ જઇ રહ્યા છે.આમ વરસાદના અભાવે સતત ગરમી વધતા ચોમાસુ સીઝનમાં પણ લોકો હાલ ઉનાળાની ગરમી જેવો અહેસાસ કરી રહ્યા છે.જેના કારણે ફરી કુલર, એસી, પંખા ધમધમતા જોવા મળી રહ્યા છે.
14 ઓગસ્ટ સુધી વાતાવરણ શુષ્ક રહેશે
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ગરમીમાં વધારો થવા સાથે વાતાવરણમાં ભેજ પણ ઓછો જણાઇ રહ્યો છે.જેના કારણે વાતાવરણ શુષ્ક છે. ઇન્ડિયન મેટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ સેન્ટર અમદાવાદના ડેટા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં તા.10થી તા.14 સુધી વાતાવરણમાં શુષ્કતા રહેવાનું અનુમાન લગાવાતા હજુ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા આસાર દેખાઇ રહ્યા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.