ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા ધો.10 અને ધો.12 બોર્ડની 14 માર્ચથી 29 માર્ચ સુધી પરીક્ષા યોજાનારી છે. ત્યારે જિલ્લાકક્ષાએ પરીક્ષાની તૈયારીની સમીક્ષા હેતું શિક્ષણમંત્રી ડો.કુબેર ડીંડોરે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેકટરો પાસેથી તૈયારીની માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું. આજરોજ યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીએ પરીક્ષાના કેન્દ્રો પર કોઇ ગેરરીતી ન થાય તે માટે પૂરતી ચકાસણી સાથે પોલીસ બંદોબસ્ત મુકવા , સી.સી ટીવી કેમેરા મુકવા ,એસ.ટી બસના રૂટ, વીજ પુરવઠો, આરોગ્ય ટીમની વ્યવસ્થા સહિત વિવિધ મુદે માર્ગદશર્ન આપીને તેનું પાલન કરવા સુચના આપી હતી.
આ બેઠકમાં કલેકટર પી.એન. મકવાણાએ જિલ્લા શિક્ષણ તંત્ર, પોલીસ વિભાગ, પીજીવીસીએલ તથા એસ.ટી વિભાગ સહિતના સંબંધિત વિભાગ સાથે પરીક્ષા સંદર્ભે તૈયારીની ચર્ચા કરીને પરીક્ષા વ્યવસ્થાન યોગ્ય રીતે થાય તે માટે સુચના આપી હતી. જેમાં કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ કરાવવા, સ્ટ્રોંગરૂમની સુરક્ષા, તમામ ખંડમાં સીસી ટીવી કેમરા મુકવા, કેન્દ્રો પર આરોગ્યને અનુલક્ષીને જરૂરી દવા અને પૂરવઠો રાખવા, કાયદાનું પાલન કરાવવા તેમજ બાળકો તણાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેના તમામ પગલા ભરવા સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,14 માર્ચથી 29 માર્ચ સુધી યોજાનારી બોર્ડની પરીક્ષામાં સુરેન્દ્રનગરના ધો.10ના 20921 અને ધો.12 સામાન્ય પ્રવાહના 13698 તથા વિજ્ઞાનપ્રવાહના 1287 છાત્રો પરીક્ષા આપશે. 77 કેન્દ્ર પર ધો.10 તથા 58 કેન્દ્ર પર ધો.12ની પરીક્ષા લેવામાં આવશે. આ કોન્ફરન્સમાં જિલ્લા શિક્ષણ અધિકારી કે.એન.બારોટ, ઝોનલ અધિકારીઓ સહિત કમિટીના સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.