સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. જેમાં જુલાઇ-2022ના માસમાં 37 વાહન ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના 3929 લોકો સામે કેસ કરીને રૂ. 14.48 લાખનો દંડ વસૂલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં નિયમોનો ભંગ કરીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
ત્યારે ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરવામાં આવી હતી. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હેન્ડલુમચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકીચોક, પતરાવાળી તેમજ જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી.
જુલાઇ-2022 એટલે કે છેલ્લા એક માસમાં દરરોજ 127થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા 3727 લોકોને હાજર દંડ રૂ. 12,46,200 કરાયો હતો. આ ઉપરાંત 37 જેટલા વાહનચાલકોના વાહન ડિટેઇન કરીને 1,88,500નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 31 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 3100નો દંડ કરાયો હતો.
આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -2, ટ્રાફિકને અડચણરૂપ લારી,રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા 132 કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 2 લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 3929 લોકો ઝપટે ચડતા રૂ. 14,48,000નો દંડ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.