સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં મે-2022ના માસમાં 38 વાહનો ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના 2930 લોકો સામે કેસ કરીને રૂ. 10.99 લાખનો દંડ લોકો પાસે વસૂલાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. પરિણામે ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ. સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી તેમજ જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જેમાં મે-2022 એટલે કે છેલ્લા 1 માસમાં જુદા જુદા નિયમોનો ભંગ કરતા 2791 લોકોને હાજર દંડ રૂ. 9,01,000 કરાયો હતો.
આ ઉપરાંત 38 જેટલા વાહનચાલકના વાહનો ડિટેઇન કરીને 1,90,600નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા 8 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. 800નો દંડ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના-2, ટ્રાફિકને અડચણરૂપ લારી, રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા 88 કેસ, પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 3 લોકો સામે કેસ કરાયા હતા. છેલ્લા 1 માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 2930 લોકોનો 10,99,800નો દંડ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.