મૂળી તાલુકાનાં છેવાડાનાં એવા રામપર ગામે મંગળવારે વહેલી સવારે ચુપણીનાં બે પશુપાલકનાં 20 પશુને વીજશોક લાગવાથી કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે. જયારે અવાર નવાર બનતા બનાવોથી પશુપાલકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે.
મૂળી તાલુકાનાં ગ્રામ્યવિસ્તારમાં પીજીવીસીએલની કામગીરી જાણે રામભરોષે ચાલતી હોય તેમ બેદરકારી જોવા મળે છે. ત્યારે આવી જ રીતે મૂળીનાં રામપર ગામે પશુપાલકોનાં કહેવા પ્રમાણે જુની લાઇન અને સમયસર મેઇન્ટેનસ ન થતુ હોવાનાં કારણે વીજતાર પડવાથી અનેક વખત વિડમાં આગ લાગવાનાં બનાવો બન્યા છે.
ત્યારે મૂળી તાલુકાનાં હળવદ તાલુકાને અડીને આવેલા રામપર ગામે મંગળવાર વહેલી સવારે ચુપણી ગામનાં પશુપાલકો વશરામભાઇ ભગવાનભાઇ ભરવાડ અને મુનાભાઇ કલાભાઇ ભરવાડ નિત્યક્રમ પ્રમાણે સવારે ચુપણી ગામથી પોતાનાં પશુ લઇ ચરાવવા નીકળ્યા હતા.
મૂળીનાં રામપર હદ વિસ્તારમાં પહોંચતા તે દરમિયાન ત્યાંથી પસાર થતી વીજલાઇનમાંથી અચાનક વીજતાર પશુઓ પર પડતા બંને માલધારીનાં 15 ભેંસ અને 5 ગાય સહિત 20 પશુઓનાં ઘટના સ્થળે જ વીજકરંટ લાગવાથી મોત નિપજતા બન્ને પરિવારોની રોજીરોટી છીનવાઇ જતા ચિંતાનું મોઝુ ફરી વળ્યુ હતુ. જયારે બનાવનાં પગલે તાત્કાલિક સરા પીજીવીસીએલનાં નાયબ ઇજનેર પનારાભાઇ, મૂળી પીએસઆઇ હર્ષવર્ધનસિંહ ગોહિલ સહિતનાં દોડી ગયા અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પશુ પાલકો તેમજ સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે આ લાઇન વર્ષો જુની લાઇન છે. અને સમયસર સમાર કામ પણ થતુ નથી. જેથી થોડા દિવસ પહેલા જ ગાયનુ મોત થયુ હતુ તેમ છતા પીજીવીસીએલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે.
અગાઉ વીડમાં આગ લાગવાનાં બનાવો પણ બની ચુક્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પશુપાલકોનો રોટલો છીનવાયો છે. આથી યોગ્ય વળતર મળે તેવી અમારી માંગ છે. આ અંગે સરા નાયબ ઇજનેર પનારાભાઇ જણાવ્યુ હતુ કે પીન ઇસ્યુલેટરનો ફોલ્ટ થતા વાયર તુટ્યો છે. જેથી 20 જેટલા પશુનાં મોત થયા છે, પશુપાલકોને વળતર મળે તે માટે હાલ પ્રયત્નો શરૂ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.