બેદરકાર તંત્ર:પંચાયતનું બિલ્ડિંગ બન્યું ત્યારથી 4 વર્ષથી ખૂલ્યો જ નથી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતર પંચાયતનાં વણારોડવાળા દરવાજા સામે બાવળનાં ઝૂંડ

લખતર તાલુકા પંચાયત ભવન અંદાજે ત્રણેક કરોડનાં ખર્ચે નવું બન્યું છે. જેનું લોકાર્પણ પણ આજથી ચારેક વર્ષ પહેલા કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાપંચાયતનો દરવાજો બિલ્ડીંગ બન્યું ત્યારથી બંધ હાલતમાં જ છે. આ દરવાજો જાણે માત્ર દેખાડા માટે જ બનાવ્યો હોય તેવો ઘાટ સર્જાયેલો છે. કારણ કે આ દરવાજો કોઈ દિવસ ખુલ્યો નથી. કારણ કે દરવાજાની એક બાજુ તાલુકા પંચાયત છે તો બીજી બાજુ પાણી નિકાલની નહેર આવેલી છે. ત્યારે તંત્ર દ્વારા ન તો નહેર ઉપર નાળું બનાવ્યું છે કે ન તો આ દરવાજો ખોલવા અન્ય કોઈ પગલાં લીધા છે. માત્ર આ દરવાજો શોભાનાં ગાંઠિયા સમાન હોય તેવો જ ભાસે છે.

એટલું જ નહીં બહારની સાઈડ પાણીની નિકાલ માટેની નહેર આવેલ હોવાથી ત્યાં ઉગેલા બાવળો પણ તાલુકાપંચાયતમાં ઘુસેલા હોય તેવું લાગે છે. નોંધનીય છે કે આ બાવળોને કારણે વાહન પાર્કિંગમાંથી નીકળતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. તો બજરંગપુરા, વણા સહિતના ગામોમાંથી આવતા લોકોને આ દરવાજેથી સરળતા પડે છે. તેમ છતાં દરવાજો શરૂ કરવા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

તો તાલુકા તેમજ જિલ્લાનાં અધિકારીઓ અનેકવાર તાલુકા પંચાયતની મુલાકાતે આવતા હોવા છતાં તેઓને પણ આ દરવાજો નહીં દેખાતો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.અત્રે ઉલ્લેખનીય ગણાશે કે હાલમાં જૂની પંચાયતનાં દરવાજામાંથી જ લોકો તાલુકા પંચાયતમાં પ્રવેશી રહ્યા છે. તેનું કારણ નવા બિલ્ડિંગ માટે બનાવેલ દરવાજામાંથી પસાર થવા માટે કાર્યવાહી જ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...