લખતર શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસથી મસ્જીદ સુધીનો રોડ છેલ્લા 15થી વધુ વર્ષોથી ભારે બિસમાર હાલતમાં છે. આ રોડ અંગે અનેક રજૂઆતો કરવા છતાં એકપણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને કારણે આ રોડ પરથી પસાર થતા અને આ વિસ્તારમાં રહેતા લોકોમાં અકસ્માતના ભય સાથે રોષની લાગણી ફેલાઇ છે.
સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળના વિકાસ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે લખતર શહેરમાં આ ઉજવણીનો કોઈ અર્થ જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. લખતર પોસ્ટ ઓફિસથી મસ્જીદ સુધીનો રોડ અતિભારે બિસમાર હાલતમાં છે. આ અંગે આ વિસ્તારમાં રહેતા લોકોએ તેમજ અન્ય ગ્રામજનોએ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ કોઈ જ કાર્યવાહી કરતું ન હોવાથી લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. ત્યારે આ રોડ ઉપરથી રોજે પસાર થતા લોકોમાં કમરનો દુઃખાવો, પેટમાં દુખવું તેમજ વાહનચાલકોને વ્હીલમાં પંચર થવું તેવા બનાવો પણ બનેલા છે. તો આ રોડ અંદાજે 15 વર્ષ કરતા વધુ સમયથી બન્યો જ ન હોવાનું આ રસ્તા પર વર્ષોથી વસતા રહેવાસીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય ગણાશે કે લખતર શહેરનાં મોક્ષધામ પણ આ રસ્તેથી જ જવાય છે. ત્યારે કોઈની અંતિમયાત્રા પસાર થતી હોય તે વેળાએ પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.