ખેડૂતોમાં ભારે રોષ:વિઠ્ઠલગઢની કેનાલમાં ગાબડુ પડતાં સેંકડો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યાં

લખતર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાબડાના કારણે ખેતરમાં ફરી વળેલા પાણીની - Divya Bhaskar
ગાબડાના કારણે ખેતરમાં ફરી વળેલા પાણીની
  • એરંડા અને ઘઉં જેવા ઊભા પાકોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ભારે રોષ
  • માટીની કેનાલ, પાણી ઓવરફ્લો થવાથી ગાબડંુ પડ્યું હોવાની આશંકા

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડુ પડતાં આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તો નબળા કામ કરનાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાકને થયેલુ નુકશાન તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.ખેડૂતોને ખેતર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પેટા કેનાલો બનાવવામાં આવી છે.

પરંતુ આ પેટા કેનાલોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવો ઘાટ લખતર તાલુકામાં સર્જાયો છે. તો અમુક વિસ્તારોમાં કેનાલો બની ત્યારથી પાણી જ આવ્યું નથી. ત્યારે લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામની સીમમાં વિઠ્ઠલગઢ અને કલ્યાણપરા વચ્ચે ઢેબડીયા ચારી વિસ્તારમાંથી પસાર થતી પેટા કેનાલમાં મોટું ગાબડુ પડ્યું હતું. જેના કારણે આ વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. આ ગાબડાને કારણે સેંકડો વીઘા જમિનમાં વાવેતર કરેલ ઘઉં અને એરંડા જેવા ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે નુકશાની થઇ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સાથોસાથ જવાબદારો સામે તાત્કાલિક પગલાં લઇ ખેડૂતોને નુક્શાનીનું વળતર ચુકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી. આમ, લખતર પંથકમાં અવાર-નવાર કેનાલોમાં પડતા ગાબડાં પંથકમાં કેનાલનાં નબળા થયેલા કામોની ચાડી ખાતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ માટીની કેનાલ હોવાથી તેમજ પાણી ઓવરફલો થવાથી ગાબડુ પડ્યુ હોવાની પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...