ચોટીલાના મુસ્લિમ મેમણ જ્ઞાતિના 51 વર્ષના એક દેશભકતે પોતાના નવા બનાવેલા કોમ્પલેક્ષ ઉપર ભારત દેશના નકશા અને કેસરી સફેદ અને લીલા રંગનું આઇ લવ માય ઇન્ડિયા લખેલ એક્રેલિકનું વિશાળ બોર્ડ મુકી સાચા અર્થમાં દેશભક્ત પુરવાર થયાં છે.
આજે 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વ પ્રસંગની જ્યારે સમગ્ર દેશમાં શાનદાર ઉજવણી થઇ રહી છે. ત્યારે ચોટીલાના એક દેશપ્રમી મહંમદ યુનુસભાઇ સતારભાઇ ડેલીવાળા નામના મુસ્લિમ મેમણે પોતાનો દેશપ્રેમ સાવ અનોખી રીતે જ દર્શાવી સૌને તાજ્જુબ કરી દીધાં છે. તેઓએ તાજેતરમાં જ એક નવું કોમ્પલેક્ષ બનાવ્યું છે. અને આ કોમ્પલેક્ષની ટોચ ઉપર ભારત દેશનો નકશો તેમાં વચ્ચે અશોક ચક્ર અને તેમાં કેસરી સફેદ અને લીલા રાષ્ટ્ર ધ્વજ જેવા રંગમાં આઇ લવ માય ઇન્ડિયા લખેલા છ ફુટ ઉંચુ અને આઠ ફુટ પહોળું એક્રેલિકનું વિશાળ બોર્ડ મુકી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ સાચા અર્થમાં પુરવાર કરી છે. યુનુસભાઇ મેમણે જણાવ્યું હતું કે મારૂ આ કોમ્પલક્ષ તો એક મહિનાથી તૈયાર જ હતું.પણ મેં 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વના દિવસે જ આ કોમ્પલક્ષનું ઉદઘાટન કરવાનું નક્કી કર્યું હતું.
આ કોમ્પલેક્ષનું નામ પણ ઇન્ડિયન રાખ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ પહેલા ભારત માતાના સંતાન છીએ પછી આપણે હિંદુ કે મુસ્લિમ છીએ. યુનુસભાઇ મેમણ પોતાના વીઝીટીંગ કાર્ડમાં પણ તિરંગો અને ઇન્ડિયન એમ છપાવે છે. યુનુસભાઇએ તેમના ભંગારના ડેલાના મુખ્ય દરવાજા ઉપર પણ તિરંગાનો રંગ કર્યો છેયુનુસભાઇ ને છેક બાલ્યાવસ્થાથી જ દેશ પ્રત્યે અનેરી લાગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.