યાત્રાધામ ચોટીલામાં દલિત સમાજના યુવાનો દ્વારા હાઇવે કનૈયા ચોકડી સામે શહેર તરફ જતા માર્ગ નજીક ડો. બાબા સાહેબની પ્રતિમા મુકવા માટે ચણતર કામ શરૂ કરાયેલું હતું. જેની જાણ પાલિકાને થતા પાલિકા અને પોલીસ દ્વારા કામ અટકાવતા મામલો બિચક્યો હતો. ઘર્ષણજનક સ્થિતિ ન બને માટે દલિત સમાજના આગેવાનો અને અધિકારી સાથે મસલતો માટે પોલીસ કચેરીએ દોડી ગયા હતા.
દલિત સમાજના આગેવાન નરેશ મારૂ, મનુભાઇ સોલંકી, વિનુભાઇ આણંદપુર, જીતુભાઇ ગુંદા સહિતનાએ થાણા અધિકારીની ઉપસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરતા આગામી દિવસોમાં પ્રતિમા માટે જગ્યા ફાળવવાની ખાતરી અપાતા સમગ્ર મામલે સર્જાયેલા વિવાદ શાંત પડયો હતો.
જો કે શહેર અને ગ્રામ્ય દલિત સમાજે પ્રાત અધિકારી અને મામલતદારને લેખિત આવેદન આપી ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ માટે કનૈયા હોટલ સામે થાન રોડ જવાના રસ્તે હોર્ડિંગ્સની બાજુમાં જગ્યા આપવા જણાવ્યું છે. બાબા સાહેબની પ્રતિમા માટે જગ્યા ફાળવવામાં નહી આવે તો ઉપવાસ આંદોલન કરશે તેમ પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.