સરકારની ‘માનવ ગરીમા યોજના’ અંતર્ગત બહેનોને સ્વનિર્ભર બનાવવા ઓલપાડ તાલુકાના ઓબીસી સમાજના ભાઇ-બહેનોને વિવિધ કિટોનું વિતરણ રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. વિગત મુજબ આજે શનિવારે ઓલપાડ મુકામે કવિ વીર નર્મદ સરકારી કુમાર છાત્રાલય ખાતે દિન દયાલ અંત્યોદય યોજના,રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ “માનવ ગરીમા યોજના” અંતર્ગત મહિલાઓને પગભર બનાવવા રાજ્ય સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે તાલુકાના ઓ.બી.સી. સમાજના ભાઇ-બહેનોને 130 જેટલી વિવિધ કિટોનું વિતરણ કરાયું હતું.
કૃષિમંત્રી મુકેશભાઈ પટેલે આ યોજનાના લાભાર્થીઓને સિલાઇ મશીન,ઇલેક્ટ્રિક સાધનો, ઘર ઘંટી, દિવેટ વાટ સહિત વિવિધ ધંધા-રોજગાર માટેની સાધન-સામગ્રી સહાય કીટોનું વિતરણ કરતા કહ્યું હતું કે,કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીજ઼ીની અને રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલની ભાજપ શાસિત સરકાર મહિલાઓને સ્વનિર્ભર બનાવવા કટીબદ્ધ હોવાથી ચિંતિત છે. જેથી મારા ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર સહિત રાજ્યના અન્ય મતક્ષેત્રોમાં તાલુકાના છેવાડાના માનવ લાભાર્થીઓ સુધી આ યોજનાનો લાભ મેળવી તેઓ સ્વરોજગારી થકી પગભર બને તે દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે.
આ પ્રસંગે યોજનાના લાભાર્થીઓ સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ કારી યોજનાઓ બાબતે તેમણે સીધો સંવાદ સાધ્યો હતો.જયારે યોજનાના લાભાર્થીઓએ માનવ ગરિમા યોજના થકી સ્વ રોજગારીના સાધનો વિતરણ કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કૃષિમંત્રી મુકેશભાઈ પટેલનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીગણ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો તેમજ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.