વૈજ્ઞાનિક યુગમાં આજે ગામડાંમાં માન્યતાઓ અને શ્રદ્ધાઓ પર આધાર રાખી ધાર્મિક વિધિ થાય છે. આવી વર્ષોજૂની વડવાઓની ગ્રામજનો પ્રત્યેની ધાર્મિક લાગણી અને માન્યતાને કારણે ઈસનપોરમાં જંતરયાત્રાને સ્થાન મળ્યું. રોગચાળો સાથે અપમૃત્યુ થવાની ઘટનાએ 35 વર્ષ પહેલાં શરૂ થયેલી અને સમય સંજોગે બંધ થયેલી જંતરયાત્રા ફરી જીવંત કરી છે. 3 દિવસના કડક ધાર્મિક નીતિનિયમોનું પાલન સાથે ઈસનપોરની યાત્રામાં ગામ આખું જોડાયું હતું.
ઓલપાડ તાલુકાના ઈસનપોર ગામે 35 વર્ષ પહેલાં રોગચાળો સહિત આકસ્મિક મૃત્યુ થવાની ઘટના બનતાં ગ્રામજનો ભયભીત થયાં હતાં. ત્યારે કરજણના પલેખા કસ્ટભંજન હનુમાનજી મંદિર જઈને ગામની રક્ષા માટે સંતો-મહંતો પાસે પાર્થના કરવા સાથે આપેલી જંતર ગામના પ્રવેશદ્વાર પર લગાવી ધાર્મિક નિયમોનું પાલન કરી વિધિ કરવા કહેતાં ગ્રામજનોએ એ વિધિ સાથે જંતરયાત્રા કાઢતાં. ગ્રામજનો નીરોગી અને સુખી થતાં યાત્રા કાઢતા થયા હતા.
1986માં શરૂ થયેલી જંતરયાત્રા કોઈક કારણોસર બંધ થતાં ગ્રામજનો દ્વારા ફરીવાર યાત્રા શરૂ કરવાનું વિચારી મંગળવાર અને અખાત્રીજના દિવસે 35 વર્ષ બાદ ફરી એનું આયોજન કરવામાં આવ્યું હતું. જંતરયાત્રા પહેલાં નક્કી કરેલા ધાર્મિક નીતિનિયમોનું ગ્રામજનોએ કડક પાલન કરી યાત્રા સાથે જોડાયા હતા. શરૂઆતમાં વડીલો અને યુવાનોએ ભેગા મળી વિધિ પ્રમાણે દરેક મહોલ્લાના માર્ગ પર શ્રીફળ સાથે જંતર લગાવ્યા. નક્કી થયેલા સમયે ગ્રામજનો પશુ સાથે લઈને ઘરોને તાળાં લગાવી ચાલી નીકળ્યાં હતાં.
1800થી વધુની વસતિ ધરાવતા ગામના લોકો, જેમાં બાળકોથી લઈને વયોવૃદ્ધનો સમાવેશ થાય છે. તેઓ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા. ગ્રામજનો નીરોગી અને સુખી રહે એ માટે વર્ષો બાદ ફરી થયેલી જંતરયાત્રામાં સ્વયંભૂ એકત્ર થયેલાં ગ્રામજનોએ શોભાયાત્રા બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી દર વર્ષે અખાત્રીજના દિવસે જંતરયાત્રાનું આયોજન કરવાની પ્રતિજ્ઞા લઈ સમૂહ ભોજન લેવા સાથે ઇષ્ટદેવની પાર્થના કરી સાંજે ઘરે પરત ફર્યા હતા.
ગામના પ્રવેશદ્વાર જંતર પર લગાવી ગામજનો એની નીચેથી પસાર થાય છે
ઓલપાડ તાલુકાના ઈસનપોર ગામે જંતરયાત્રા વિશે 1986માં થયેલી પ્રથમ યાત્રાના સાક્ષી ગામના વડીલ મનહરભાઈ પટેલે માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ ગામમાં રોગચાળો અને કોઈ આફત ન આવે એ માટે કષ્ટભંજન હનુમાનજીના મંદિરથી સ્વામી દ્વારા મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિથી બનાવેલી એક ચિઠ્ઠી આપવામાં આવે છે, જેને વાંસની ભૂંગળીમાં નાખી શ્રીફળ સાથે ગામના પ્રવેશદ્વાર અને દરેક મહોલ્લાના મુખ્ય માર્ગ પર તોરણની જેમ બાંધવામાં આવે છે. ગ્રામજનો એ જંતર નીચેથી ગામની બહાર જઈને થોડા કલાક બાદ ફરી ઘરે પરત ફરે છે. આ યાત્રાની ધાર્મિક વિધિમાં ગ્રામજનોને અતૂટ આસ્થા અને શ્રદ્ધા છે.
કડક નિયમોનું પાલન કરવાનું હોય છે
વડીલોના આગ્રહથી યાત્રાનું આયોજન
35 વર્ષ પહેલાં પ્રથમ વખત થયેલી યાત્રા બાદ ગ્રામજનો સુખી હતા. ગામમાં રોગચાળો અને અપમૃત્યુની ઘટના થતી અટકી. ત્યારે કોઈક કારણસર બંધ થયેલી યાત્રા હાલ કોરોના બીમારી અને અન્ય કારણસર ગામમાં થયેલાં મોત બાદ વડીલોના આગ્રહથી ગ્રામજનોમાં સહકારે આયોજન કરાયું હતું. - ધર્મેશ પટેલ, સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.