સુરત ભાજપ કાર્યાલય ખાતે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવો કરીને વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે તંગ વાતાવરણ ઊભું થઈ ગયું હતું. કાર્યકર્તાઓ સાથે છૂટાહાથની મારામારી થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો હતો. જેમાં ભાજપના સુરત યુવા પ્રમુખે કહ્યું કે, 'અમે કોઈને નડતાં નથી પરંતુ નડશે તેને છોડીશું પણ નહી, આપના નેતાઓ અમારા કાર્યાલય પર હુમલો કરવા આવ્યા એ દરમિયાન ઘર્ષણ થયું હતું.
બન્ને પક્ષના કાર્યકરો સામ-સામે થયા
ભાજપ કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર-નેતાઓના વિરોધ પ્રદર્શન વખતે થયેલી છુટ્ટા હાથની મારામારી બાદ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે, રોજની જેમ ભાજપના નેતાઓ અને કાર્યકરો ભાજપ કાર્યાલય પર બેઠા હતા. ભૂતકાળમાં અમારા પ્રદેશ કાર્યાલય પર આપના કાર્યકરોએ તોડફોડ કરી હતી. તેનો અમને ખરાબ અનુભવ છે. તેવી ઘટના સુરતમાં ન બને તે માટે અમે કાર્યાલય પર જ બેઠા હતા. પરંતુ આપના નેતાઓ કાર્યાલય પર હુમલો કરવા માટે આવ્યા હતા. તેથી પોલીસે કોર્ડન તોડીને તેઓને કાર્યાલય પર આવવાનો પ્રયાસ કરતાં અટકાવ્યાં હતા.
હુમલો ચલાવી ન લેવાય-યુવા ભાજપ પ્રમુખ
યુવા ભાજપ પ્રમુખ ભાવિન ટોપીવાલાએ કહ્યું હતું કે, રાષ્ટ્રની સેવા કરવા માટેનું અમારા કાર્યાલય અમારા માટે કેન્દ્ર બિંદુ છે. અમારા કેન્દ્ર બિંદુ પર કોઈના દ્વારા હુમલો કરવામાં આવે તે ચલાવી લેવામાં આવશે નહીં. અમે કોઈને નડતા નથી. પરંતુ અમને કોઈ નડે છે તો તેને અમે છોડીશું પણ નહીં. તો એક કોર્પોરેટરે કહ્યું હતું કે, અમે અમારા કાર્યાલય પર બેઠા હતા. પરંતુ વિરોધ પ્રદર્શનના નામે આપના કાર્યકરો અમારા કાર્યાલય પર હુમલો કરવા માટે આવ્યા હતા. પોલીસનું કોર્ડન તોડીને તેઓ તેમની સાથે આવેલા કેટલાક અસામાજિક તત્વો સાથે ધસી આવ્યા હતા. અમારા કેટલાક કાર્યકરો સાથે ઝપાઝપી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.