સુરત સરથાણા વિસ્તારના લક્ષ્મણનગરમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરવા આવેલા બે પૈકી એક ચોર બાકોરામાંથી ભાગવા જતાં નીચે પટકાયો ને મોતને ભેટ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બન્ને ચોર અમદાવાદથી સુરત ચોરી કરવા માટે આવ્યા હોવાનું અને બે પૈકી એક ભાગવામાં સફળ થયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
ભાગવામાં એક સફળ થયો ને બીજાનું મોત
CK પટેલ (ACP)એ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની રાતની છે. મહાદેવ કરિયાણા સ્ટોરમાં ચોરીનું આયોજન કરી બે ઈસમે ધાબા પર બાકોરું પાડી અંદર ઘૂસ્યા હતા. જોકે દુકાનના બે કામદાર જાગી જતાં હોબાળો થયો હતો. બન્ને ચોરે બાકોરામાંથી ભાગવા જતાં એક સફળ થયો હતો અને બીજો 30-40 ફૂટ ઉપરથી નીચે પટકાતાં તેને તાત્કાલિક સારવાર માટે સ્વિમેર લઈ જવાતાં ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યો હતો. દુકાનના માલિકે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક અમદાવાદનો રહેવાસી હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૃતક ઈસમ અમદાવાદનો રહેવાસી અને સુરત ચોરી કરવા આવ્યા હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ભાગી ગયેલા બીજા ચોરને પોલીસ શોધી રહો છે. ચોર ભાગવા જતાં ધાબા પરથી પટકાયો ને મોતને ભેટ્યો, એ તપાસમાં સામે આવ્યું છે. સરથાણા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.