સુરત શહેરના કનાજ રોડ પર એક HMT ટ્રેક્ટર કેનાલમાં પલટી મારી ગયું હતું. જેથી ટ્રેક્ટરમાં સવાર એક પુરૂષ અને મહિલાનું દબાઈ જતા મોત નીપજ્યું હતું. હાલ બંનેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ટ્રેક્ટર જહાંગીરપુરાથી કનાજ ગામ જતું હતું
મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 9.22 કલાકે ફાયર કંટ્રોલરૂમમાં કોલ આવ્યો હતો. વરિયાવ જકાતાકા પાસે કનાજ રોડ પર રેલવે ફાટક પાસે એક HMT ટ્રેક્ટર(GJ-05-AA-1670) કેનાલમાં પલટી મારી ગયું હતું. આ ટ્રેક્ટર જહાંગીરપુરાથી કનાજ ગામ જતું હતું. જેમાં ચાલક અને એક મહિલા સવાર હતા. ટ્રેક્ટર કેનાલમાં પલટી મારી જતા બંને ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. જેથી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બંને મૃતકની પરિવારની શોધખોળ હાથ ધરાઈ
ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ટ્રેક્ટર નીચે દબાઈ ગયેલા મહિલા અને પુરૂષને મૃત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ટ્રેક્ટરના માલિક સુર્યકાંત મંછારામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે બંને મૃતકની પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.