હજીરા વિસ્તારમાં આવેલી કંપનીમાં પાણી પહોંચાડતી સિંચાઇ વિભાગની લાઇનમાં ઘણા સમયથી ભંગાણ પડ્યું હોવાથી આજુ બાજુના ખેતરમાં પાણી ભરાઇ રહ્યું છે. ઉપરથી આ પાણીની લાઇન અંગે કોઇ કંપની પોતાની હોવાની જવાબદારી સ્વિકારતી ન હોવાના કારણે ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે.હજીરા કાંઠા વિસ્તારમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં સિંચાઇ વિભાગ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે માટે સિંચાઇ વિભાગની મંજુરીથી વરીયાવની કંપનીઓ સુધી પાણીની લાઇન નાખવામાં આવી છે. જોકે, અંડરગ્રાઉન્ડમાં નાખવામાં આવેલી પાણીની લાઇનમાં છેલ્લા કેટલાક સમયથી ભંગાણ પડ્યુ છે. અને પાણી બાજુમાં આવેલા ખેતરમાં જતુ હોવાના કારણે પાકને નુકસાન થઇ રહ્યું છે.
આ અંગે ખેડૂત અને હજીરા વિસ્તારના અગ્રણીઓ દ્વારા તમામ કંપનીઓને નોટિસ પાઠવા પાણી લીકેજ બંધ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ પાણીની લાઇન પોતાની હોવાનું કોઇ કંપનીએ સ્વીકાર્યું નથી. આ અંગે સિચાઇ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. તેમ છતાં કોઇ પણ કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે ખેડૂતની હાલત કફોડી થઇ છે. ત્યારે આ પાણી લીકેજનો નિકાલ નહીં કરવામાં આવે તો દામકા ગામના અગ્રણીઓ દ્વારા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.