સુરતના પુણા વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી પાસે સ્થાનિકો દ્વારા શિવજીનું મંદિર બનાવવાનું શરૂ કરાયું હતું. જેને લઈને વિવાદ ઊભો થયો હતો. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના કર્મચારીઓ દ્વારા મંદિરનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
મંદિર કાયદેસર હોવાનું સ્થાનિકોનું રટણ
શ્રીનાથજી સોસાયટીના ગેટ પાસે ટીપી નંબર 20માં રસ્તા ઉપર આવતી જગ્યા પર મંદિર બનાવવાનું શરૂ કરાયું હતું. થોડા સમય પહેલા ત્યાં સબ સ્ટેશન હતું. ત્યારબાદ ત્યાં સબ સ્ટેશન દૂર કરાતા ગંદકી થતી હતી જેને દૂર કરવા માટે સ્થાનિક લોકોએ તમામ સફાઈ કર્યા બાદ મંદિર ઉભું કરવાનું શરૂ કરી દેવાયું હતું. મંદિર કાયદેસર સ્થાન ઉપર હોવાની વાત સ્થાનિકોએ કરી હતી.
કાયદેસર હોવા છતાં મંદિર દૂર કરાયું: સ્થાનિક
શ્રીનાથજી સોસાયટીમાં રહેતા સચિન માલીએ જણાવ્યું કે આ જગ્યા ઉપર સબ સ્ટેશન હતું અને ત્યારબાદ ખૂબ જ ગંદકી પણ થતી હતી. અમે સ્થાનિક લોકો એકત્રિત થઈને અહીં શિવજીનું મંદિર બનાવ્યું હતું. કોઈપણ પ્રકારનું દબાણ અમારા તરફથી કરવામાં આવ્યું ન હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે મંદિર હતું તે મંદિરને દૂર કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. જો ગેરકાયદેસર ન હોય તો શા માટે આ મંદિર તોડવું જોઈએ.
ટીપીના રસ્તા ઉપર ધાર્મિક હેતુસર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું: અધિકારી
વરાછા ઝોનના અધિકારી કમલેશ વસાવાએ જણાવ્યું કે શ્રીનાથજી સોસાયટીના ગેટ જેટીપી નંબર 20માં આવે છે. તેના રસ્તા ઉપર અનઅધિકૃત રીતે ધાર્મિક હેતુસરનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જેને થોડા દિવસ અગાઉ જ રોકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે અમારી ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ હોવાને કારણે અમારી ટીમે કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.