પાંડેસરા કર્મયોગી સોસાયટી-૩માં એક મકાનમાં હિન્દુઓનું સામુહિક ધર્માંતરણ કરીને તેમને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યાની વાતથી હિન્દુવાદી સંગઠનો ધસી ગયા હતા સાથે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી.પાંડેસરામાં ભાજપના પુર્વ કોર્પોરેટર શૈલેશ ત્રિપાઠીએ પાંડેસરા પોલીસને સામુહિક ધર્માંતરણ કરાતા હોવાના આક્ષેપ સાથે અરજી આપી હતી. બમરોલી રોડ કર્મયોગી સોસાયટી-3ના એક મકાનમાં સોનગઢ,ડાંગ, બારડોલી અને ચીખલી સહિતની જગ્યાઓથી આવેલા હિન્દુઓનું સામુહિક ધર્મ પરિવર્તન કરાવવાની વાત વહેતી થતાં જ બજરંગદળ, વિશ્વહિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તા કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા.
જે જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે મકાન અશોક ખેડેનું હતું. કાર્યક્રમ બાબતે અશોક ખેડેએ પોલીસને જણાવ્યું હતું કે તે ખ્રિસ્તી છે અને તેમની માલિકીનું મકાન રિનોવેટ કર્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં તેમના ઓળખીતા અને સગાઓને સોનગઢ,ડાંગ, બારડોલી,ચીખલી વિસ્તારમાંથી બોલાવ્યા છે. ત્યાં કોઈ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ થતી નથી. જ્યારે હિન્દુ આગેવાન કેશવ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આર્થિક લાલચ આપી ધર્મ પરિવર્તન માટે લોકોને બોલાવ્યા હતા. પીઆઇ એ.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.