વરાછાની મહિલાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. 14 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી તેમણે પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. અન્ય એક બનાવમાં લિવરની બીમારીથી પીડાતા અલથાણના આધેડે ફાંસો ખાધો હતો. આધેડે બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.વરાછા વિવેકાનંદ સોસાયટી ખાતે રહેતા કાંતીભાઈ વરીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની પત્ની રેખાબેન(45)છેલ્લા 14 વર્ષથી માનસિક બિમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલતી રહી હતી.
સતત દવાઓ લેવાની સાથે તેમનું શરીર પણ વધી ગયુ હતું અને કામ થતું ન હતું. જેથી માનસિક બીમારીથી કંટાળીને રેખાબેને મંગળવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ બુધવારે સવારે મોત નિપજ્યું હતું.
આપઘાતના અન્ય બનાવમાં અલથાણ એસએમસી આવાસ ખાતે રહેતા સુનિલભાઈ સુપડુભાઈ કોલે(50) ઘર નજીક આશિર્વાદ બંગલોમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. દારૂ પીવાની કુટેવના કારણે તેમને લિવરની બીમારી થઈ હતી. જેથી તેમને સારવાર માટે 15 દિવસ પહેલા સિવિલમાં દાખલ પણ કરાયા હતા. દરમિયાન મંગળવારે મોડી રાત્રે તેમણે દારૂના નશામાં બીમારીથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.