સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં પણ ચિંતા કરતા રહે છે. ક્રિકેટ રમતી વખતે હાર્ટ-એટેક આવીને યુવકનું મોત થવાની ઘટના તાજેતરમાં જ સામે આવી હતી. ત્યાર બાદ વધુ એક યુવકનું મોત ક્રિકેટ રમતી વખતે થયું હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ઓલપાડના નરથાણા ગામમાં ક્રિકેટ રમવા દરમિયાન નિમેષ આહીર નામના યુવકને હાર્ટ-એટેક આવ્યો હતો અને બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું.
ક્રિકેટ રમતી વખતે વધુ એક મોત
ઓલપાડના નરથાણા ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે એક યુવકનું મોતની નીપજ્યું છે. નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન જ અચાનક તે ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું.
બેભાન થયાં બાદ યુવકનું મોત
ક્રિકેટ રમતી વખતે એકાએક બેભાન થઈ જવા પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ક્રિકેટ રમતી વખતે તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત થયું છે.
મૃતક નિમેષ એકદમ ફિટ હતો
મૃતકના સંબંધીએ પ્રિયાંકભાઈએ જણાવ્યું કે નિમેષભાઈની તબિયત સારી હતી અને ફિટ હતા, પરંતુ એકાએક જ આજે તેઓ ક્રિકેટ રમવા ગયા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. છાતીમાં દુખાવો થતાં તેઓ ઘરે આવી ગયા હતા જ્યાં તેઓ થોડી વાર રહીને લીંબુ શરબત પીધું હતું. ત્યારબાદ ફરીથી તેમને એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમનું મૃતદેહ ઘરે લઈ આવ્યા હતા. તેઓ મિનરલ વોટર અને પાણીના ટેન્કરનો વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમને બે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
આ પહેલાં પણ એક યુવાનનું મોત થયું હતું
26 વર્ષના યુવાન પ્રશાંત ભારોલિયા સાથે બનેલી ઘટના ખરેખર હચમચાવી નાખે એવી છે. કેનેડા જવાનાં સપનાં જોતો, વિઝાની રાહ જોઈ રહેલો યુવાન, અકાળે અવસાન પામ્યો. પ્રશાંત ભારોલિયાના પિતા કાંતિભાઈ ભારોલિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, 'તેને કેનેડા સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે મોકલ્યો હતો. કોરોનાના કારણે ત્યાં ઘણું બધું બંધ થઈ ગયું હતું. આ દરમિયાન તેના વિઝા પતી ગયા એટલે તે સુરત પરત ફર્યો હતો. અઢી મહિનાનો તેનો અભ્યાસ કોરોનાના કારણે બાકી રહી ગયો હતો. માસ્ટર્સની એક વિષયની પરીક્ષા પણ આપવાની હતી. એટલે અમે કેનેડાના વિઝા માટે તેની ફાઈલ ફરીથી મૂકી હતી. ફી પણ ભરી દીધી હતી. પરંતુ વિઝા અંગે કોઈ જવાબ આવે એ પહેલાં તો ભગવાનનો આદેશ આવી ગયો. શું કરીએ?'
કોરોના અને વેક્સિન અંગે પિતાએ શું કહ્યું?
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કાંતિભાઈ ભારોલિયાએ થોડી ચિંતાજનક માહિતી આપી. તેમણે કહ્યું કે, 'પ્રશાંત કેનેડા હતો અને ત્યાર બાદ ભારત પરત આવ્યો, પણ તેને ક્યાંય કોરોના નહોતો થયો પરંતુ, પ્રશાંત કેનેડા હતો, ત્યાં તેણે વેક્સિન લીધી હતી. ત્યાર બાદ એ સુરત પરત ફર્યો. અહિંયાં આવીને પણ તેણે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હતા. બુસ્ટર ડોઝ લેવા માટે પણ ગયો હતો પણ સ્ટોક ખલાસ થઈ ગયો હતો એટલે પાછો આવ્યો હતો.' જો કે કેનેડામાં અને ભારતમાં પ્રશાંતે કઈ રસી લીધી હતી, તેનો ખ્યાલ પિતાને નથી. પ્રશાંત દરરોજ સવાર-સાંજ જિમમાં જતો હતો. સવારે બે કલાક, સાંજે બે કલાક કસરત કરતો હતો. ક્રિકેટ મેચ પણ નિયમિત રમતો હતો. રવિવારના દિવસે તો સવારથી સાંજ સુધી ક્રિકેટ રમતો હતો.
જીવનના છેલ્લા દિવસ સુધી પરિસ્થિતિ સામે ઝઝૂમતો રહ્યો પ્રશાંત
કોરોનાના કેસ ઓછા થતાં ફરીથી કેનેડા જવા માટે દોઢ મહિના પહેલાં જ પ્રશાંતે વિઝા માટેની ફાઈલ મૂકી હતી. ત્યાંથી જવાબ આવ્યો ન હતો એટલે તેણે 1 ફેબ્રુઆરીથી નોકરી કરવાની શરૂ કરી હતી. સુરતમાં એક કંપની છે, જેઓ વિવિધ પ્રોડક્ટ્સનું ફોન દ્વારા વિદેશમાં માર્કેટિંગ કરે છે. એટલે તેની નાઈટ શિફ્ટ રહેતી હતી. પ્રશાંતનું અંગ્રેજી સારું હતું, એટલે તેને આ નોકરી મળી હતી. પરોઢિયે ચાર વાગ્યે તે નોકરી પરથી પાછો આવતો હતો.
પ્રશાંતનું મૃત્યુ થયું એ દિવસનો ઘટનાક્રમ
પ્રશાંત સવારના ચાર વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યો. ત્યાર બાદ તેણે બે કલાક સુધી કસરત કરી હતી. કસરત કર્યા બાદ 6 વાગ્યે ક્રિકેટ રમવા માટે જતો રહ્યો. પછી સાડા નવ વાગ્યાની આસપાસ ક્રિકેટ રમીને ઘરે આવ્યો. નાસ્તો કર્યા બાદ તેણે કહ્યું, 'મને છાતીમાં દુખે છે.' પેટમાં બળતરા થતી હોવાનું કહીને તેણે તરબૂચ ખાધું. પરંતુ તેને ફાયદો ન થયો એટલે એસિડિટીની દવા લીધી. ડૉક્ટરે ઈન્જેક્શન પણ આપ્યું, તો પણ રાહત ન થઈ. જેથી મોટા ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એટલે તે જાતે ટુ વ્હીલર લઈને મોટા ભાઈની પત્ની સાથે દવા લેવા માટે માટે નીકળ્યો. પરંતુ રસ્તામાં વધારે તબિયત ખરાબ થઈ અને અચાનક ઢળી પડ્યો. એટલે તેને રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ ગયા પરંતુ રસ્તામાં જ તેનો જીવ જતો રહ્યો હતો.
પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે શું કહ્યું?
પ્રશાંતને ફક્ત એસિડિટીનો જ પ્રોબ્લેમ હતો. બીજો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. મૃત્યુ થયું એ દિવસે પણ અમને એવું જ લાગ્યું હતું કે એસિડિટી થઈ છે. કારણકે શરીરથી એટલો ફીટ હતો કે શંકા પણ ન જાય કે આવી રીતે અચાનક બીમાર પડી શકે. 15 દિવસ પહેલાં પણ પેટમાં બળતરા થતી હતી, ત્યારે ડૉક્ટર પાસેથી દવા લીધી તો સારું થઈ ગયું હતું. પ્રશાંત ભારોલિયાના અચાનક મૃત્યુનું કારણ જણાવતા ડૉક્ટરે કાંતિભાઈને કહ્યું કે, 'તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. પરંતુ બીજા કેટલાક રિપોર્ટ આવશે એટલે વધુ માહિતી મળી શકશે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.