સુરતમાં સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની નહેરમાંથી એક 9 મહિનાની બાળકી મૃત હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીએસઆઈ એસઆઈ દેસાઈએ જણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ 24 કલાક પહેલાનો અને શરીર પર ઈજાના નિશાન ન હોવાનું હાલ ફોરેન્સિક વિભાગના તબીબો કહી રહ્યા છે. ભેસ્તાન નજીકથી કચરાના ઢગલા પર પણ પ્લાસ્ટિકની થેલીમાં ત્યજી દેવાયેલી બાળકીની ઘટનાની સાહી સુકાય નથી ત્યાં વધુ એક ત્યજી દેવાયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
બાળકીનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળ્યો
એસઆઈ દેસાઈ (પીએસઆઈ, સચિન જીઆઈડીસી) એ જણાવ્યું હતું કે માહિતી સવારે લગભગ 9 વાગ્યાની આજુબાજુની હતી. ઘટના સ્થળે ગયા તો એક બાળકીનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો. તમામ પ્રકારની સ્થળ તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ આવ્યા હતા.
બાળકીના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા નથી
બાળકીના શરીર પર એક ટી-શર્ટ અને ચડી મળી આવ્યા છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં કોઈ પણ પ્રકારની ઇજાના નિશાન મળી આવ્યા નથી. જોકે બાળકીની ઉંમર 9 મહિનાની હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસ બાળકીને ત્યજી દેનાર પરિવાર કે માતાને શોધી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.