સુરત સિટીમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત રોજ સિટીમાં 2505 કેસ નોંધાયા હતા. સુરતમાં જે ઝડપે કોરોના કેસ વધે છે એને અંકુશમાં લાવવા માટે પાલિકાએ બીજી લહેરની જેમ વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 179 માઈક્રો કન્ટેન્મેન્ટ સાથે 528 માઈક્રો કેન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કુલ 57525 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યાં વધુ કેસ હોય ત્યાં માઈક્રો કેન્ટેન્મેન્ટ ઝોન જાહેર
સુરત સિટીમાં રોકેટગતિએ કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને કાબૂમાં લેવા માટે પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં રેડ અને હાઈરિસ્ક જોન જાહેર કર્યા છે. આ સાથે જ્યાં વધુ કેસ હોય ત્યાં માઈક્રો કેન્ટેન્મેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. સુરત સિટીમાં કુલ 528 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 14607 ઘરોનો સમાવેશ થાય છે અને ઘરોમાં 57525 લોકો વસવાટ કરે છે.
વરાછા-એ અને ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા 8-8 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ કેસોમાં વધારો થઈ રહ્યો છે. પાલિકા દ્વારા લોકોને વધુમાં વધુ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પાલિકાએ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે, જેમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અઠવા વિસ્તારમાં 179 છે. જ્યારે વરાછા-એ અને ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા 8-8 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
528 વિસ્તારમાં કુલ 4804 એક્ટિવ કેસ
પાલિકાએ ઝોન પ્રમાણે કુલ 528 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે, જેમાં 14607 ઘરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઘરોમાં કુલ 57525 લોકો વસવાટ કરી રહ્યા છે, જ્યારે આ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં હાલ 4804 એક્ટિવ કેસ છે. આ વિસ્તારોમાંથી વધુ કેસ આવતાં વિસ્તારને રેડ અને હાઈરિસ્ક ઝોનમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા કોરોના હોટ સ્પોટ
ગત રોજ વરાછા એ ઝોનમાં કોરોનાના સૌથી વધુ 515 કેસ સામે આવ્યા છે, જ્યારે કતારગામ ઝોનમાં 448 કેસ સામે આવ્યા હતા.રાંદેર ઝોનમાં 413, અઠવા ઝોનમાં 409, ઉધના એ ઝોનમાં 202 અને ઉધના બી ઝોનમાં 40, વરાછા બી ઝોનમાં 185, લિંબાયતમાં 182, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 111 કેસ સામે આવ્યા હતા.
એક્ટિવ કેસ પૈકી 204 દર્દી સિવિલ-સ્મિમેર દાખલ
અત્યારે ત્રીજી લહેરમાં 12 હજારથી વધુ એક્ટિવ કેસ પૈકી 204 જેટલા દર્દી સિવિલ-સ્મિમેર સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 30 ટકા દર્દી વેન્ટિલેટર -બાયપેપ અને ઓક્સિજન પર હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે.છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં 204 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે પેકી 40 સિવિલ હોસ્પિટલમાં અને 164 ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.