અંગદાનથી નવજીવન:મિકેનિકલ એન્જિનિયર અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર થતા હૃદય-ફેફસાં સહિતના અંગોના દાનથી 7ના જીવનમાં ઉજાસ પથરાયો

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતથી હિંદુ તળપદા કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ શૈશવ ગીરીશભાઈ પટેલ ઉ.વ 24ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીમાનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી ૨૨ વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. જયારે બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે. હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ, ફેફસા, લિવર અને કિડની સમયસર અમદાવાદની K.D હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.

અકસ્માતથી હેમરેજ થયું હતું
ઠે. મોટું ફળીયું મુ.પો હજાત, તા. અંકલેશ્વર. જી. ભરૂચ. ખાતે રહેતો મિકેનીકલ એન્જિનિયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. 13 માર્ચના રોજ રાત્રે 8.30 કલાકે પોતાની બુલેટ પર સુણેવ ગામથી પોતાના ગામ હજાત જઈ રહ્યો હતો. ત્યારે તરીયા બસ સ્ટેન્ડ, સાજોદ પાસે તેનું બુલેટ સ્લીપ થઇ જતા, તે બુલેટ પરથી નીચે પડી ગયો હતો. જેથી માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક અંકલેશ્વરમા આવેલ જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમા સોજો હોવાનું નિદાન થયુ હતું.

અંગદાતાને આખરી સલામી અપાઈ હતી
અંગદાતાને આખરી સલામી અપાઈ હતી

બ્રેઈનડેડ જાહેર કરાયા હતા
પરિવારજનોએ તેને વધુ સારવાર માટે રાત્રે 11.30 કલાકે સુરતમા આવેલ એઈમ્સ્ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામા આવી. મગજમાં સોજો વધુ હોવાથી ડોક્ટર દ્વારા ઓપરેશન માટે સલાહ આપવામાં આવી હતી. પરંતુ ઓપરેશન પહેલા જ સારવાર દરમિયાન 15 માર્ચના રોજ રાત્રે 2 કલાકે શૈશવનું હૃદય બંધ થઇ જતા એને CPR (હૃદય મસાજ) આપીને હૃદયને પાછુ ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની તબિયત બગડતા તા. 17 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો.

અંગદાન માટે સમજણ અપાઈ
વાલીયાના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ ચુડાસમા અને શૈશવની બહેન નિધીએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈશવના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, બહેન નિધી, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે શૈશવ ક્લીનીકલી બ્રેઈનડેડ છે પરંતુ બ્રેઈનડેડ જાહેર કરવા માટે હોસ્પીટલની બ્રેઈન સ્ટેમ ડેથ ડીકલેરેશન કમિટી દ્વારા એપ્નીયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઈનડેડ જાહેર કરેલો હોવો જોઈએ પરંતુ શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ ન હોવાને કારણે એપ્નિયા ટેસ્ટ થઇ શકતો નથી.

પરિવારે અંગદાનની સંમતી આપી
ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થાય ત્યારબાદ તેના બંને એપ્નીયા ટેસ્ટ પોઝીટીવ આવે ત્યાર પછી જ અંગદાન થઇ શકે. ત્યારે શૈશવના માતા મનીષાબેને પોતાના હૃદય પર પત્થર મુકીને રડતા રડતા જણાવ્યું કે, અમારો દિકરો કલીનીકલી બ્રેઈનડેડ છે. ત્યારે તેના બધા જ રીપોર્ટ નોર્મલ થયા પછી, બ્રેઈનડેડ જાહેર કરવા માટેના જે જરૂરી ટેસ્ટ હોઈ તે ટેસ્ટ કરાવીને જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવજો શરીર રાખ જ થઇ જવાનું છે. ત્યારે તેના અંગદાનથી કોઈકના લાડકવાયાને નવું જીવન મળશે. શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થયા પછી તેના બંને એપ્નિયા ટેસ્ટ પોઝીટીવ આવતા અંગદાન માટેની સંમતી આપવામાં આવી. શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, અને બહેન નિધીને અંગદાનની સંમતી આપવા બદલ. શૈશવના પરિવારમાં તેના માતા પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બહેન નિધી દહેજમા આવેલા દીપક ફાઉન્ડેશન નામની સંસ્થામાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવે છે.

અંગોને સલામત રીતે દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા લઈ જવાયા હતા.
અંગોને સલામત રીતે દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા લઈ જવાયા હતા.

ફેફસાં અમદાવાદમાં દાન કરાયા
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલને, ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલને, લિવર ઝાયડસ હોસ્પીટલને અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પીટલને ફાળવવામાં આવી.હૃદયનું દાન સુરતની મહાવીર હોસ્પિટલના ડૉ. સંદીપ સિંહા, ડૉ. નીરજ કામત ડૉ. મહેશ વિન્ચુરકર ડૉ. રોહિત શેટ્ટી અને તેની ટીમે, ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડો. મેનાનદેર, ડૉ. ટીશેકર ઓએસીસ, ડૉ. ભાવિન દેસાઈ, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન ઝાયડસ હોસ્પીટલના ડૉ. આનંદ ખખ્ખર, ડૉ. યશ પટેલ, ડૉ. પ્રથાન જોશી, રાજુ ઝાલા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

પોલીસે ગ્રીન કોરીડોર કરીને અંગદાન કર્યું હતું.
પોલીસે ગ્રીન કોરીડોર કરીને અંગદાન કર્યું હતું.

હ્રદય કોસંબાના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ
એઈમ્સ્ હોસ્પિટલથી મહાવીર હોસ્પીટલનું 13 કિલોમીટરનું અંતર 15 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી, ઉ.વ. 22 વર્ષીય યુવકમાં મહાવીર હોસ્પીટલમાં ડૉ. અન્વય મુલે અને ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.એઈમ્સ હોસ્પિટલથી અમદાવાદની K.D હોસ્પિટલ સુધીનું 276 કિલોમીટરનું અંતર 1૦૦ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની K.D હોસ્પિટલમાં અમદાવાદની રહેવાસી, ઉ.વ. 40 વર્ષીય મહિલામાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અંગદાનમાં પોલીસ, ડોનેટ લાઈફ,તબીબી સ્ટાફ સહિતના પરિવારના સભ્યો જોડાયા હતાં.
અંગદાનમાં પોલીસ, ડોનેટ લાઈફ,તબીબી સ્ટાફ સહિતના પરિવારના સભ્યો જોડાયા હતાં.

ગ્રીન કોરીડોર કરાયો
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં અમદાવાદના રહેવાસી ઉ.વ. 64 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ, ફેફસા, લિવર અને કિડની સમયસર અમદાવાદ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 93 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનવા બદલ સુરત પોલીસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...