સુરતમાં વેક્સિનેશનને લઈને લોકોમાં જાગૃતિ દેખાઈ રહી છે. ત્રીજી લહેર અગાઉ વેક્સિનેશન સેન્ટર પર લોકોની મોટી સંખ્યામાં લાઈનો લાગી રહી છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર પર લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાંદેર ખાતે આવેલા ડો. આંબેડકર વનસવાસી કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા મહાનગરપાલિકા પ્રેરિત વેક્સિનેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં એક પણ ડોઝ બગડ્યો નથી. 110 લોકો બેસી શકે તેવા હોલમાં લોકોને પીવાના પાણીથી લઈને પુસ્તક પણ રાખવામાં આવ્યાં છે. જેથી લોકો આરામથી સમય પસાર કરી શકે.
વાઈફાઈ પણ રખાયું છે
ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેવા નિરંતર વેકસીનેશન કેન્દ્ર 22 જૂનથી કાર્યરત કરાયું છે. અત્યાર સુધીમાં એક પણ વેક્સિનનો ડોઝ બગડ્યો નથી. 110 લોકો બેસે તેવી બેઠક વ્યવસ્થા વાળો પંખા સાથે હવા ઉજસવાળો હોલ રાખવામાં આવ્યો છે. જેમાં કર્ણપ્રિય સંગીત, પુસ્તક પરબ, પીવાના પાણી વ્યવસ્થાનું સુંદર આયોજન કરાયું છે. ટ્રસ્ટ તરફથી વાઇફાઇની સુવિધા પણ રાખવામાં આવી છે. જેથી લોકો આરામથી વેક્સિન લીધા બાદ અડધો કલાકનો સમય પસાર કરી શકે.
વેક્સિન ન બગડે તે માટે અગાઉથી આયોજન
સેન્ટર વેકસીન સમય પહેલા કાર્યકર્તા દ્વારા વ્યક્તિગત મળીને પૂર્વ તૈયારીની નોંધણી કરી સમયનો સદઉપયોગ કરવામાં આવે છે.10 કલાકે એસએમસીના આરોગ્ય મિત્ર આવે એટલે ભારતમાતાની પ્રતિમા સમક્ષ દીપપ્રજલન કરી તમામ સહભાગીઓ મળી વિશ્વ આ મહામારીથી મુક્ત થાય તેવી સર્વે ભવનતું... ની પ્રાર્થના કરવામાં આવે છે.ત્યાર બાદ ખુબજ ઝડપથી અને વ્યવસ્થિત રૂપે વેકસીનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ સાથે હોલની અંદર અભિપ્રાય નોંધપોથી, સૂચન પેટી તેમજ નોટિસ બોર્ડની સુવિધા પણ કરેલ છે.રોજ 10 સ્વયંસેવકો સમર્પણભાવથી સમગ્ર વ્યવસ્થાનું સુચારુરૂપે સંચાલન કરે છે. જેથી તમામ સહભાગી તેમજ smc આરોગ્યમિત્ર પણ આ કેન્દ્ર થી સંતોષની લાગણી અનુભવે છે.
અલથાણ સેન્ટર પર લાઈનો લાગી
અલથાણ સેન્ટર પર વેક્સિનેશન માટે લાંબી લાઈનો લાગી હતી. વિષ્ણુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, અલથાણ સ્વિમિંગ પૂલ ખાતે વેક્સિનેશન સેન્ટર પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. 400 લોકો આવી પહોંચ્યા હતાં.જો કે, તંત્ર દ્વારા આજે 360 વેક્સિન અપાઈ હતી. જેથી 360 લોકોને ટોકન આપીને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. વેક્સિનને લઈને હાલ લોકોમાં ભારે ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.