ચોમાસા દરમિયાન દેમાર વરસાદ થતા તાપી નદીના જળ સપાટીમાં થતાં વધારાને કારણે સુરતનો વિયર કમ કોઝવે બંધ કરાયો હતો. જેને 52 દિવસ બાદ આજે શરૂ કરી દેવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર ટાળે કોઝવે શરૂ થતાં સિંગણપોર ચાર રસ્તાથી રાંદેર અડાજણ તરફ આવવા માટે લોકોને રાહત થશે. લાંબા સમયથી કોઝવે બંધ હોવાને કારણે કતારગામ તરફથી આવતા લોકોને ચોક થઇને અડાજણ આવવું પડતું હતું. કોઝવે બંધ હોવાથી 6.5 કિમી સુધીનો ફેરાવો થતો હતો. જેને કારણે ઈંધણ અને સમયનો વેડફાટ થતો હતો. હવે કોઝવે ખુલી જતા 2.5 કિમીમાં 10 મિનિટમાં પહોંચી જવાશે.
11 સપ્ટેબરના રોજ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો
ગુજરાતની સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસતા હથનુર ડેમની જળ સપાટી સતત ઊંચી આવી રહી હતી. ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. તેના કારણે સુરતનો કોઝવે ઓવરફ્લો થયો હતો. તાપી નદીમાં જ ઘરમાં થતાં વધારાને કારણે સુરત કોર્પોરેશન દ્વારા 11 સપ્ટેબરના રોજ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
કોઝવે ખુલ્લો મુકાતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે
દિવાળી પર્વ વખતે લોકો એકબીજાના ઘરે ખૂબ જ મોટા પ્રમાણમાં જતા હોય છે અને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા હોય છે તેવા સમયે સુરતનો વિયર કમ કોઝવે ખુલ્લો મુકાતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે. ખૂબ જ લાંબું અંતર કાપીને અડાજણ વિસ્તારમાં આવવું પડતું હતું તેને બદલે હવે તેઓ ઓછા સમયમાં ઝડપથી અડાજણ રાંદેર પાસે રહેતા પોતાના સંબંધીઓને ત્યાં પહોંચી શકશે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે બંધ કરાયો હતો
કતારગામ-સિંગણપોર વિસ્તારને અડાજણ-રાંદેર તરફ જોડવા ઉપયોગી છે. ઉકાઇ ડેમમાંથી બે લાખ જેટલું પાણી છોડવાના કારણે ઘણા દિવસો સુધી તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. બીજી તરફ કોઝવે તેના ભયજનક સપાટીથી 3 મીટર વધુ ઉપરથી વહેતો હતો. અત્યારે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે કોઈ પણ જોખમ ઊભું થઈ શકે તેવી શક્યતા ન હોવાથી કોઝવે વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવાયો છે.
કોઝવે બંધ હોવાથી અન્ય રસ્તાઓ પર ટ્રાફિક પણ થતો હતો
વિયર કમ કોઝવે બંધ હોવાને કારણે ડભોલી બ્રિજ અને જિલાની બ્રિજ ઉપર ટ્રાફિક જોવા મળતો હતો. ડભોલી બ્રિજ પરથી રામનગર તરફ જવું હોય તો 6.5 કિલોમીટર સુધીનો ફેરો પડતો હતો. મોરાભાગળ સર્કલ તરફ શાકમાર્કેટ હોવાથી સાંજના સમયે ટ્રાફિક થતું હતું. સિંગણપોરથી જિલાની બ્રિજ ફરીને અડાજણ પાટીયા તરફ આવતા અંદાજે 6.5 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું. જિલાની બ્રિજ ઉપર કતારગામ તરફથી આવતા વાહનોને કારણે અડાજણ પાટીયા ઉપર ટ્રાફિક થતો હતો. હવે કોઝવે ખુલી જતા હવે 2.5 કિલોમીટરમાં જ રાંદેરથી કતારગામ પહોંચી શકાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.