સુરતના વરાછાનો એક પ્રેમલગ્નનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવકે પોતે ધનાઢ્ય પરિવારનો હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, પતિની હકીકતની જાણ થતા પત્ની તરછોડીને ચાલી ગઈ હતી. દરમિયાન યુવતીને ચિઠ્ઠી મોકલાવી મોંઢા પર એસિડ ફેંકી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પતિ વિરૂધ્ધ વરાછા પોલીસમાં નોંધાય છે.
કારખાનામાં જાનુને રહેવા લઇ જતા ભાંડો ફૂટી ગયો
વરાછાના માતાવાડી વિસ્તારની વર્ષા સોસાયટીમાં રહેતી જાનુ(નામ બદલ્યું છે)નો આઠ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર વિશાલ નાગજી સોલંકી (રહે. લોંગડી, જિ. ભાવનગર) સાથે મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી બંને જણાએ ભાગીને મંદિરમાં પ્રેમલગ્ન કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. લગ્ન પહેલા વિશાલે પોતે ધનાઢ્ય પરિવારનો હોવાનું કહ્યું હતું. જોકે, લગ્ન બાદ વિશાલ જ્યાં નોકરી કરતો હતો તે સચિન જીઆઇડીસીના કારખાનામાં જાનુને રહેવા લઇ જતા ભાંડો ફૂટી ગયો હતો.
પતિએ પણ પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી આપી
ખોટા સપના બતાવનાર વિશાલને તરછોડીને જાગૃતિ તેના પિતાના ઘરે ચાલી ગઇ હતી. દરમિયાનમાં બે દિવસ અગાઉ જાનું તેની ભાભી સાથે સોસાયટીના ગેટે પાસે રિક્ષામાંથી નીચે ઉતરી હતી ત્યારે તેના પગ પાસે અજ્ઞાત વ્યક્તિએ ચિઠ્ઠી ફેંકી હતી. ચિઠ્ઠીમાં જાનુને મોંઢા પર એસિડ ફેંકી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ ચિઠ્ઠી વિશાલ સોલંકીએ મોકલાવ્યાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ જાનુએ વરાછા પોલીસમાં નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે જાનુએ વિશાલ વિરૂધ્ધ ભાવનગર પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે. જ્યારે વિશાલે પણ પત્ની જાનુ પોતાને માનસિક ત્રાસ આપતી હોવાની અરજી ભાવનગર પોલીસમાં કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.