હજીરાથી ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને શરૂ કરવા જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે શનિવારથી દરરોજ 3 ગામમાં સાંજે 5થી 7 વાગ્યા સુધી મીટિંગ કરવાનું આયોજન કરાયું છે. શનિવારે વરિયાવ, સરોલી અને ભેસાણ ગામમાં મિટિંગ યોજાશે. જેમાં જેમની જમીન કપાઈ રહી છે તે ખેડૂતો, આગેવાનો અને ગામના સરપંચ સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, જહાંગીરપુરા ખેડૂત સમાજની ઓફિસ પર 2 દિવસ પહેલા ખેડૂતો દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં 14 ગામના 277 જેટલા ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે, ‘આ રેલવે ટ્રેકની કોઈ જરૂરિયાત નથી જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે. જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન આપવી ન પડે અને સરકારે પણ એ જ પ્રકારે આયોજન કરવું જોઈએ. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે કહ્યું કે, 14 ગામના 277 ખેડૂતોની જમીન આ રેલવે ટ્રેકમાં કપાઈ રહી છે.
જમીન સંપાદન માટે ખેડૂતોને નોટીસ પણ અપાઈ છે. સરકાર સમયાંતરે ખેડૂતોની જમીન વિકાસના નામે સંપાદન કરીને લઈ લે છે અને તેની મોટી અસર ખેડૂતો ઉપર થઈ રહી છે. અત્યારે સ્થિતિ એવી છે કે વિકાસના કામને લઇને ખેડૂતો પાસે જે જગ્યા હતી એ મોટાભાગની જગ્યાઓ સરકારે લઈ લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.