એન.સી.સી.ના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદર નગર હવેલી, દમણ અને દીવ એન.સી.સી. ડાયરેક્ટર દ્વારા ગાંધીજીના દાંડીકૂચ મૂલ્યોનું અનુકરણ કરતા સાબરમતી આશ્રમથી દાંડી સુધી યોજાયેલી સાયકલ રેલીનો ગુરુવારે સાંજે સુરતમાં પ્રવેશ થયો હતો. આજે આ સાયકલ યાત્રા આગળ વાંઝ થઈ નવસારી દાંડી સુધી જવા રવાના થઈ છે.
આત્મનિર્ભર ભારત કી ઓર’થીમ પર યોજાઈ સાયકલ રેલી
તા.7 જાન્યુઆરીએ રાજ્યપાલ દ્વારા ફ્લેગ ઓફ થયેલી 25 કેડેટ્સની સાયકલ રેલી આશરે 350 કી.મીનું અંતર કાપી સુરત પહોંચી હતી. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’નાં સપનાને સાકાર કરતી થીમ આધારિત આ રેલી ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’નાં સુત્ર દ્વારા ગુજરાતના વિકાસને ચરિતાર્થ કરે છે.
દાંડીમાં મુખ્યમંત્રી પૂર્ણાહુતિ કરશે
આ સાયકલ રેલી માટે સમગ્ર રાજયમાંથી ખાસ પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા 18થી 20 વર્ષનાં 25 NCC કેડેટ્સ હતા. જેમાં 18 છોકરાઓ અને 7 છોકરીઓનો સમાવેશ થાય છે. રોજ 40થી 50 કિ.મીનું અંતર કાપી 14 જાન્યુઆરીએ આ રેલી 422 કિ.મીનાં અંતર સાથે દાંડી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ રેલીની પુર્ણાહુતી થશે.
ગાંધીજીના સ્વાવલંબનની ભાવનાનો ઇતિહાસ દોહરાવતી આગળ વધી યાત્રા
ગાંધી આશ્રમમાંથી 'દાંડી કૂચ' દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા અનુસરવામાં આવેલ સ્વાવલંબનની ભાવનાનો ઇતિહાસ દોહરાવતી યાત્રા જે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મ્યુઝિયમ, દાંડી ખાતે સમાપ્ત થશે. જ્યાંથી સાયકલ રેલીને દાંડીથી-દિલ્હી સુધીની મોટરસાઇકલ રેલી સાથે સમાવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.