પાંડેસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે કોરોના પોઝિટિવ બાળકને દાખલ કરવાની જગ્યાએ સ્ટેમસેલ હોસ્પિટલ બિલ્ડિંગમાંથી પીડિયાટ્રિક વિભાગમાં અને ત્યાંથી ટ્રોમાં સેન્ટરમાં ધક્કે ચડાવી દેતાં સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે.
પાંડેસરા વિષ્ણુનગરમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષીય પુત્રને રવિવારે રાત્રે તાવ ચડ્યો હતો. સવારે માસૂમ બાળકને સારવાર માટે પાંડેસરા કૈલાસ ચોકડી પાસે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જ્યાં તેનો રેપિડ ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો, જેથી આરોગ્ય કેન્દ્રના તબીબે 108 બોલાવી બાળકને સારવાર માટે સિવિલમાં મોકલ્યો હતો.
108 બાળકને લઈ સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલ પહોંચી હતી. જોકે ત્યાં હાજર તબીબે બાળકને પીડિયાટ્રિક વિભાગમાં લઈ જવા કહ્યું હતું અને પીડિયાટ્રિક વિભાગના તબીબ સાથે વાત પણ કરી હતી. જોકે 108 બાળકને લઈ પીડિયાટ્રિક વિભાગમાં પહોંચી તો ત્યાં હાજર તબીબે સમય પૂરો થઈ ગયો હોવાનું કહી તબીબ ત્યાંથી જતા રહ્યા હતા. આખરે 108ના કર્મીઓ બાળકને લઈ ટ્રોમાં સેન્ટરમાં પહોંચ્યા હતા, જ્યાં બાળકના એક્સરે રિપોર્ટ કરાવ્યા બાદ દવાઓ આપી ઘરે મોકલ્યું હતું. તબીબોની આડોડાઈને કારણે શ્રમજીવી પરિવારે સંક્રમિત બાળકની સાથે ધક્કે ચડવાનો વખત આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.