કાર્યવાહી:જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાગાતળાવની જનતા માર્કેટમાં ક્રાઇમબ્રાંચે ઓપરેશન હાથ ધરાયું હતું. - Divya Bhaskar
ભાગાતળાવની જનતા માર્કેટમાં ક્રાઇમબ્રાંચે ઓપરેશન હાથ ધરાયું હતું.
  • ચોરીના-નકલી ફોન વેચાતા હોવાની ફરિયાદો, 15 અધિકારીઓ ત્રાટક્યા
  • રાંદેર વિસ્તાર બાદ બીજો​​​​​​​ મોટો સપાટો, મોડી સાંજ સુધી ચેકિંગ ચાલું રહ્યું

સુરત શહેરમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ વેચાણનું હબ ગણાતા જનતા માર્કેટમાં શુક્રવારે બપોરે ક્રાઇમબ્રાંચે 15 પોલીસ અધિકારીઓ સાથે 14થી વધુ ટીમો બનાવી 120 દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

શહેરના ભાગાતળાવ જનતા માર્કેટમાં ચોરીના મોબાઇલ વેચાણ થતા હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈ ક્રાઇમબ્રાંચના એડીશનલ પોલીસ કમિશનર શરદ સીંઘલ, મહિલા ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી બી.પી.રોજીયા તેમજ પીઆઈ વાગડીયા સહિત તમામ પીઆઈ તેમજ પીએસઆઈએ સ્ટાફ સાથે ટીમો બનાવી જનતા માર્કેટમાં ચેકિંગ કર્યું હતું.

દુકાનોમાંથી લગભગ 500થી વધુ મોબાઇલ બીલ વગરના મળી આવ્યા હતા. પોલીસે બીલ વગરના મોબાઇલનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીલ વગરના મોબાઇલ કદાચ ચોરીના હશે તો તે દુકાનદાર સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે.

ડીસીબીના સ્ટાફે ચેકિંગની કામગીરી શુક્રવારે મોડીસાંજ સુધી કરી હતી. ખાસ કરીને પોલીસે બીલ વગરના મોબાઇલમાં આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે બાબતે ટેક્નિકલ સ્ટાફે તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચે અચાનક જનતા માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.

જનતા માર્કેટમાં તો કેટલાક વેપારીઓ તો ચોરીના મોબાઇલ વેચાણ કરવાની સાથે મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્પેરપાર્ટસ પણ વેચાણ કરતા હોવાની વાત છે. આ બાબતે પણ ક્રાઇમબ્રાંચે ચેકિંગ કરવાની જરૂર છે. થોડા દિવસો પહેલા ક્રાઇમબ્રાંચે રાંદેર વિસ્તારોમાંથી બીલ વગરના લાખોની કિંમતના આઈફોન પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...