સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 82 દિવસમાં જ ચુકાદો આવી ગયો છે. ગ્રીષ્માના હત્યામાં ફાંસીની સજા થયેલા ફેનિલ ગોયાણીને લાજપોર જેલમાં સી-5 યાર્ડમાં રાખવામાં આવ્યો છે. આ યાર્ડમાં અન્ય 5 કેદી છે, જેમને પણ ફાંસીની સજા મળી છે. આ તમામ કેદીઓની દેખરેખ માટે રાઉન્ડ ઓફ ક્લોક 2 વોર્ડન અને 1 વોચમેનને મુકાયા છે.
ફેનિલ ઈજાગ્રસ્ત હોવાથી હાલમાં જેલમાં સફાઈકામ જ કરશે
ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ ગોયાણી હવેથી લાજપોર જેલ બેરેક અને યાર્ડની સાફસફાઈ કરશે. શરૂઆતના 3 મહિના ફ્રીમાં સેવા અને બાદમાં પગાર અપાશે. જેલમાં પાકા કામના કેદી તરીકે ફેનિલને સી-5 યાર્ડમાં 2 નંબરની બેરેકમાં રખાયો છે, જે કેદી નંબર 2231થી ઓળખાશે. ફેનિલને વ્હાઇટ કપડાં પણ આપી દેવાયાં છે, આથી જેલમાં તે પાકા કામના કેદી તરીકે વ્હાઇટ કપડાંમાં દેખાશે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ફેનિલ ઈજાગ્રસ્ત હોવાથી હાલમાં સફાઈકામ જ કરશે.
કયા 6 કેસ અને હત્યારા?
વર્ષ 2019માં 27 વર્ષીય અનિલ યાદવને બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં ફાંસીની સજા અપાઈ હતી. વર્ષ 2020માં 44 વર્ષીય ટુકના બુધિયા દાસને એપીપી દિગંત તેવારની દલીલો બાદ હત્યાના ગુનામાં ફાંસી અપાઈ હતી. વર્ષ 2021માં ગુડ્ડુ યાદવને બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસી, 2021માં દિનેશ બૈસાણેને પણ બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. ભેસ્તાનમાં કિશોરી પર રેપ-હત્યા અને તેની માતાની પણ ક્રૂર હત્યા કેસમાં 7 માર્ચ 2022ના રોજ હર્ષસહાય ગુર્જરને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે બે દિવસ પહેલાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણીને ફાંસીની સજા આપવામાં આવી છે.
5 ફાંસીના કેસમાં અંતિમ નિર્ણય બાકી
લાજપોર જેલમાં રહેતા અને ફાંસીની સજા પામેલા પાંચ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. 5 કેસમાં આરોપીઓને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઉપરાંત રાષ્ટ્રપતિ સુધી અરજી કરવાની તક હોવાથી અંતિમ નિર્ણય બાકી છે. અનિલ યાદવના કેસમાં હાઇકોર્ટે ફાંસીની સજા મંજૂર રાખી હતા, જ્યારે સુપ્રિમ કોર્ટમાં ફાંસી પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.